અમદાવાદઃ કોગ્રેસ નેતા હાર્દિક પટેલના આગોતરા જામીન ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધા હતા. પાટીદાર અનામત આંદોલન વખતે તોડફોડ અને મારામારીના કેસમાં  વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના આરોપી હાર્દિક પટેલે આગોતરા જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હાર્દિક પટેલની આગોતરા જામીનની અરજી ફગાવી હતી.


સુનાવણી  દરમિયાન હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે સરકાર ખોટા કેસ કરી તેની હેરાનગતિ કરી રહી છે. 2015 થી 2020 સુધીમાં પોતે હાજર હોવા છતાં અને પોલીસને ખબર હોવા છતાં અત્યાર સુધી ધરપકડ ન કરી અને હવે પાંચ વર્ષ બાદ પણ તપાસ ચાલુ છે તેવું સરકારનું નિવેદન અયોગ્ય હોવાની હાર્દિક પટેલ તરફથી રજૂઆત કરાઈ હતી.

બીજી તરફ સરકારે હાર્દિકની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં દલીલ કરી હતી કે સેશન્સ કોર્ટને બાંહેધરી આપ્યા બાદ પણ હાર્દિક પટેલે લોકો સમક્ષ ઉશ્કેરણીજનક  ભાષણો કરી પોતાની જ બાંહેધરીનો ભંગ કર્યો છે.