Gujarat Assembly: ગુજરાત સરકારના રોજગારીના મસમોટા દાવાઓની વચ્ચે વિધાનસભામાં બેરોજગારીના આંકડા રજૂ થયા. કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રીએ આપેલી વિગત પ્રમાણે, રાજ્યના 31 જિલ્લાઓમાં 2,70,922 શિક્ષિત બેરોજગાર, 12,219 અર્ધ શિક્ષિત બેરોજગાર મળીને કુલ 2,83,140 બેરોજગાર નોંધાયેલા છે. તેની સામે સરકારે 4,70,444 બેરોજગારોને ખાનગીમાં રોજગારી પૂરી પાડી હોવાના દાવાઓ કરે છે પરંતુ સરકારી રોજગાર કચેરી દ્વારા સરકારી નોકરી કેટલા બેરોજગારને પૂરી પાડવામાં આવી તેની માહિતી ઉપલબ્ધ નથી.


વિધાનસભા ગૃહમાં જુનાગઢ અને પોરબંદરમાં શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગાર કેટલા નોંધાયા છે ? તેવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકાર જણાવ્યું કે, જુનાગઢ જિલ્લામાં કુલ 10323 બેરોજગાર નોંધાયા છે, જેમાં શિક્ષિત બેરોજગાર કુલ 9866 છે અને અર્ધ શિક્ષિત 457 બેરોજગાર જોવા મળ્યા છે. જ્યારે પોરબંદરમાં કુલ 4644 બેરોજગાર નોંધાયા છે, જેમાં શિક્ષિત 4469 બેરોજગાર અને અર્ધ શિક્ષિત કુલ 175 બેરોજગાર જોવા મળ્યા છે. જો કે છેલ્લા બે વર્ષમાં જુનાગઢ જિલ્લામાં કુલ 10323 માંથી 4573 લોકોને રોજગારી આપવામાં આવી છે, જ્યારે પોરબંદર જિલ્લામાં 4644 માંથી 4053 બેરોજગાર ને રોજગારી આપવામાં આવી છે. જેમાં છેલ્લા બે વર્ષમાં રોજગાર વિનિયમ કચેરી હેઠળ ખાનગી રોજગારી મળી છે, જેની અદર જુનાગઢમાં 4573 અને પોરબંદરમાં 4051 બેરોજગારને રોજગારી આપી છે.




રાજ્યમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે વરવી વાસ્તવિક્તા


હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, જેમાં રાજ્યમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. વિધાનસભામાં રજૂ થયેલી માહિતી પ્રમાણે, ગટરમાં સફાઈ કરવા ઉતરેલા 11 કામદારો નિધન થયા છે. ગત વર્ષે 7 અને આ વર્ષે 4 લોકો મૃત્યુ થયા છે. ગત વર્ષે મૃત્યુ પામેલા 7 વ્યક્તિમાંથી 5 લોકો સરકારે સહાય ચૂકવી છે. ગટર સફાઈ દરમ્યાન મૃત્યુ પામેલા 11 લોકોમાંથી હજી 6 લોકો સહાયથી વંચિત છે. સરકાર ગટર સફાઈમાં મૃત્યુ પામનારને 10 લાખ સહાયની જોગવાઈ છે. સહાય ચુકવણી અંગે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.


પોરબંદરના દરિયામાં ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ


પોરબંદરના દરિયામાં પોલીસે ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગ ઝડપી પાડી છે. વન વિભાગ દ્વારા 10 શખ્સોને ડોલ્ફીન સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી આશરે 20 ડોલ્ફીનના મૃતદેહ મળી આવ્યા છે, અન્ય રાજ્યની ગેંગ હોવાની પ્રાથમિક વિગત છે. થોડા દિવસોથી આ ગેંગ સક્રિય હોવાનુ અનુમાન છે. વનવિભાગ દ્વારા તમામ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરશે.