ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણીને લઈને બીજેપી એક્શનમાં આવી ગઈ છે. આજે ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી. આ કારોબારી બેઠકમાં શોક પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. ગત કારોબારીથી આજ દિનની કારોબારી વચ્ચે અવસાન પામેલ તમામને શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. નોંધનિય છે કે, તારાચંદ છેડા અને આશાબેન પટેલનું તાજેતરમાં નિધન થયું હતું. આ ઉપરાંત તાજેતરમાં મીઠાની ફેકટરી અને કલોલમાં મૃત્યુ પામેલ લોકોને પણ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.


તો બીજી તરફ આ બેઠકમાં કેન્દ્ર સરકારના પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના મુદ્દે સીઆર પાટીલે નિવેદન આપ્યું હતું. આદિવાસીઓના હિતની યોજના માટે પણ વિરોધ પક્ષના લોકોએ અપ્રચાર કર્યો. આ ઉપરાંત પેજ કમિટીનું કામ જલ્દી પૂર્ણ કરવા સીઆર પાટીલે સૂચના આપી છે. પેજ સમિતિનું કાર્ય 84 ટકા જેટલું પૂર્ણ થયું હોવાની વાત કરી. 60 લાખ કરતાં પણ વધુ સભ્યો પરિવાર સહિત પક્ષ સાથે જોડાયા બાકીનું કાર્ય પૂર્ણ કરવા અપીલ કરી. વન ડે વન ડીસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં પેજ સમિતિના સભ્યોને બોલાવવા અને તેમને મહત્વ આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, દરેકે સતત સરકારી કાર્ય અને સંગઠનના કાર્યો પ્રજા સુધી ઝડપી પહોચાડવા માટે સોશિયલ મીડિયા શ્રેષ્ઠ માધ્યમ છે. કારોબારી બેઠકની શરુઆત દિવંગત ભાજપના નેતાઓને અંજલી આપવામાં આવી હતી. પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડો કરવાના નિર્ણય પર સરકારને અભિનંદન અપાયા હતા. પાર તાપી લિંક યોજના રદ કરવા બદલ સરકારને અભિનંદન આપ્યા હતા. સુપોષણ યોજના અંતર્ગત 13 લાખ પરીવાર સુધી પહોંચવા લક્ષ્ય રાખવામાં આવ્યું છે.


સુરત પોલીસનો સપાટો, ત્રણ જગ્યાએ સ્પામાં રેડ પાડી 41 લોકોની ધરપકડ કરી
સુરત: ઉંમરા પોલીસે પ્રશંસનીય કામગીરી સામે આવી છે. ઉમરા પોલીસ દ્વારા ત્રણ જગ્યાએ સ્પામાં રેડ કરવામાં આવી હતી. જેમાં પાર્લે પોઇન્ટ, પીપલોજ અને વેસુ વિસ્તારનો સમાવેશ થાય છે. આ રેડમાં મહિલા અને પુરુષ મળીને કુલ 41 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ 41 લોકોમાં 19 છોકરી અને 22 પુરુષનો સમાવેશ થાય છે. આ તમામ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ઉમરા પોલીસ દ્વારા આશરે 50000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની રેડને પગલે સુરત શહેરમાં સ્પાની આડમાં ચલવતા ગોરખધંધાના માલિકમાં ફફડાટ ફેલાયો છે.


ભારતી આશ્રમ વિવાદ મામલે નવો વળાંક,ધરપકડથી ઋષિ ભારતીજી પહોંચ્યા કોર્ટના શરણે
અમદાવાદ:  સરખેજ સ્થિત ભારતી આશ્રમ વિવાદ મામલે હવે નવો વળાંક આવ્યો છે. ધરપકડથી બચવા ઋષિ ભારતીજી કોર્ટના શરણે પહોંચ્યા છે. ઋષિ ભારતીજીએ ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ મામલે તપાસ અધિકારીઓને નોટિસ ઈશ્યુ કરી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. અરજીમાં રજુઆત કે હું આશ્રમના ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા કરું છુ, હું કોઈ ગેરકાયદેસર પ્રવુતિમાં સંડોવાયેલો નથી. નોંધનિય છે કે, અમદાવાદના સરખેજ સ્થિત ભરતીબાપુના આશ્રમને લઈ સત્તાનો વિવાદ ચાલી રહ્યો છે. શિષ્ય યદુનંદન ભારતીજીએ ગુરુભાઈ ઋષિ ભારતી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.