ગાંધીનગરઃ આવતી કાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. સરકારે કોરોનાકાળ ચાલી રહ્યો હોવાથી આ વખતે કોઈ પણ પ્રકારના ગરબા રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. માત્ર પૂજા-આરતી માટે એક કલાકનો સમય આપવામાં આવ્યો છે. નવરાત્રિ શરૂ થાય તે પહેલા આજે મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને નવરાત્રિની શુભકામના આપતા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ગુજરાતમાં નવરાત્રિનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. લોકો આખું વર્ષ નવરાત્રિની રાહ જોતા હોય છે.


તેમણે જણાવ્યું હતું કે, લોકો ક્યારે નવરાત્રિ આવે અને ક્યારે ગરબે ઘૂમે તેની રાહ જોતા હોય છે. જોકે, આ વખતની નવરાત્રિમાં પરિસ્થિતિ થોડી અલગ છે. આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આપણે પણ આ જ લડાઈ લડી રહ્યા છીએ. માટે પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને આ વખતે સરકારે લોકોના આરોગ્યને વિશેષ મહત્વ આપીને નવરાત્રિના આયોજનોને તેમજ ગરબાની મંજૂરી આપી નથી.



તેમણે ઉમેર્યું હતું કે, અત્યાર સુધી આપણે સૌએ કોરોનાને અંકુશમાં રાખવા કરેલી સહિયારી મહેનત રોળાય ન જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે અને એ આપણી પ્રાથમિકતા છે. તહેવારનું આપણા જીવનમાં ખૂબ મહત્વ રહેલું છે. પણ જીવના જોખમે તહેવારો ઉજવવા એ આપણી સમજદારી નથી. હું જાણું છું કે, તમે બધા આ વાતમાં મારી સાથે સહમત હશો. તમે પરિસ્થિતિની ગંભીરતા સમજતા હશો જ. આ માટે સરકારે સૌના હિતમાં આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે. માટે હું તમને અપીલ કરું છું કે, જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી માસ્ક પહેરો, હાથ વારંવાર સાબૂથી સેનેટાઇઝરથી સાફ કરો અને સોશિયલ ડિસ્ટન્સ આપણે જાળવીએ. તહેવારોના સમયમાં આપણે થોડી વધારે કાળજી રાખીએ.