ગાંધીનગરઃ ગઈ કાલે નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી અને તેમને ચક્કર આવી ગયા હતા. જોકે, જો કે મંચ પર ઉપસ્થિત સિક્યોરિટી ગાર્ડના જવાનો અને ત્યા હાજર નેતાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેકો આપીને તાત્કાલિક ખુરશી પર બેસાડ્યા હતા. સ્થળ પર હાજર તબીબોએ તેમની તાત્કાલીક સારવાર કરી હતી. અત્યારે રૂપાણીને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ યુએન મહેતા હોસ્પિટલ ના તબીબોએ જણાવ્યા પ્રમાણે તેમની તબિયત સ્થિર છે. જોકે 24 કલાક તબીબોએ આરામની સલાહ આપી છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગઈકાલે વડોદરાની સભામાં તબિયત લથડતા આજના તેઓના તમામ કાર્યક્રમો અને મુલાકાતો રદ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની વડોદરા ત્રણ જનસભાનું આયોજન હતુ. પાંચ વાગ્યે તરસાલી, છ વાગ્યે કારેલીબાગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો અને બાદમાં રાત્રે અંદાજે સાડા આઠ વાગ્યે વિજય રૂપાણી ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે નિઝામપુરા પહોંચ્યા હતા.

સભા શરૂ થઈ અને સંબોધનના પાંચ મિનિટ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડી હતી અને તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જો કે મંચ પર ઉપસ્થિત સિક્યોરિટી ગાર્ડના જવાનો અને ત્યા હાજર નેતાઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેકો આપીને તાત્કાલિક ખુરશી પર બેસાડ્યા હતા. સ્થળ પર હાજર તબીબોએ તેમની તાત્કાલીક સારવાર કરી હતી.

તબીબોએ તપાસ કરતા પ્રાથમિક રૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બ્લડ સુગર ઘટી ગયુ હતુ. જેથી તરત જ મુખ્યમંત્રીને 25 ટકા માત્રાનું ગ્લુકોઝ આપવામાં આવ્યુ હતુ. ગ્લુકોઝ લીધાના દસ મિનિટમાં જ મુખ્યમંત્રી સ્વસ્થ થયા હતા અને જાતે જ સ્ટેજ પરથી ઉતરીને વડોદરા એયરપોર્ટ તરફ જવા રવાના થયા હતા. અંદાજે 45 મિનિટ બાદ હવાઈ માર્ગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ એયરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓ પોતાની કારમાં આગળની સીટ પર બેસીને તમામ મીડિયાકર્મીઓનું અભિવાદન કરીને પોતે સ્વસ્થ્ય હોવાનો ઈશારો કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને અમદાવાદ એયરપોર્ટથી સિધા જ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓ પોતે જ ચાલીને પોતાના રૂમમાં ગયા હતા. યુ.એન.મહેતાના 10 તબીબોની ટીમે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અલગ અલગ ટેસ્ટ કર્યા હતા. જે તમામ ટેસ્ટ નોર્લમ આવ્યા હતા.

યુ.એન. મહેતા હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ પણ પહોંચી ગયા હતા. બાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને યુ.એન.મહેતાના ડાયરેક્ટર ડૉક્ટર આર.કે.પટેલે બહાર આવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર હોવાની સાથે જ ઓબ્ઝર્વેશન માટે 24 કલાક યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ રાખવાની માહિતી આપી હતી.