ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અત્યારે કોરોના સામેની મહામારી સામે લડી રહ્યો છે. દિવાળી પછી રાજ્યમાં કોરોનાએ ઉથલો માર્યો છે અને દૈનિક કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં કોરોનાની રસીને લઈને મોટો ધડાકો કર્યો છે.


નીતિન પટેલે કોરોનાની રસી મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે, બધા ભારતીયોને આનંદ થાય એવા સમાચાર આવી રહ્યા છે. માન્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રાષ્ટ્રીય કક્ષાએ વેક્સિન આપવા માટે, દરેક નાગરિકોને વેક્સિન આપવા માટે જે તૈયારીઓ કરવાની છે, એ તૈયારી ભારત સરકાર દ્વારા ખૂબ ઉચ્ચ કક્ષાએ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, મંગળવારે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વેક્સિન અંગેની કાર્યવાહી કેવી રીતે કરવી? એનું વિતરણ કેવી રીતે કરવું ? એની ચેઇન કેવી રીતે ગોઠવવી ? વેક્સિન આવે તો એને કેવી રીતે સાચવવી ? એ બધી જ વ્યવસ્થા માટે માન્ય વડાપ્રધાનશ્રી આ બાબતે મંગળવારે દેશના બધા જ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ પણ રાખી છે. એટલે ભારત સરકાર ખૂબ જ સતર્ક છે.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી ખૂબ દીર્ઘ દ્રષ્ટીવાળા છે. બધું જ આયોજન કરી ચૂક્યા છે. વેક્સિન આવી રહી છે. ત્રીજા તબક્કામાં તો ઘણી વેક્સિન છે, એટલે હવે જેમ આપણે કહીએ છીએ ને કે દરવાજે ટકોરા વાગી રહ્યા છે, જેમ ઘડીઓ ગણાઇ રહી છે. ટકોરા વાગી રહ્યા છે વેક્સિન આવવાના. તો શક્ય છે કે, ડિસેમ્બર આખર સુધીમાં અથવા તો જાન્યુઆરીની શરૂઆતમાં વેક્સિન આવી જાય.

તેમણે જણાવ્યું હતું કે, વેક્સિન આવ્યા પછી પણ દેશના 130 કરોડ નાગરિકોને વેક્સિન આપવી, ગુજરાતના 6 કરોડ 30 લાખ નાગરિકોને વેક્સિન આપવી. માર્ગદર્શન મળે એ પ્રમાણે પ્રાયોરિટી બધું જ કરવાનું કામ ભારત સરકારે રાજ્ય સરકારો સાથે સંકલન કરીને વડાપ્રધાનશ્રીએ ખૂબ મોટા પ્રમાણમાં હાથ ઉપર લીધું છે. એટલે વેક્સિન આવે એટલે એક મોટા જોખમમાંથી આપણે પાર ઉતરીએ. એ પ્રમાણે વેક્સિનનું વિતરણ અને વ્યવસ્થા ચાલું થશે. એટલે આપણે એમ માની શકીએ કે, સાત મહિના જે કપરા ગયા, પણ આવનારા બે-ત્રણ મહિનાની અંદર બધી જ હળવાશ અને સરળતા થાય એ ચોક્કસ બનશે.

વડાપ્રધાનશ્રીએ પણ દેશને જણાવ્યું છે કે, ભારતમાં પણ આપણે વેક્સિનની ડિમાન્ડ ચાલું છે. તેના જૂદા જૂદા ટ્રાયલ ચાલું છે. વિશ્વ કક્ષાની વેક્સિન પણ આવી રહી છે. ભારત સરકાર આ બધું કરી રહી છે. જ્યારે દેશની સર્વોચ્ચ સંસ્થા, વડાપ્રધાનશ્રી પોતે આટલું બધું ચિંતન અને જે રીતે દીર્ઘ દ્રષ્ટી રાખી અને ગંભીરતાથી બધું કામ કરી રહ્યા હોય. આખા દેશને એમના ઉપર વિશ્વાસ છે. એ બધું કરી જ રહ્યા છે, જેનો લાભ આખા દેશને મળશે.