ગાંધીનગરઃ ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ વીજકાપ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. હાલ રાજ્યમાં વિજળી ની કટોટકટી નથી. વીજ કાપ પણ રાજ્યમાં કોઈ જગ્યાએ આપવામાં આવ્યો નથી. કેન્દ્રના સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. હાલ વીજળીની કોઈ કટોકટી નથી. આ ઉપરાંત તેમણે સ્પર્ધાત્મક પરીક્ષઓ મુદ્દે પણ મોટી જાહેરાત કરી હતી. 


જીતુ વાઘાણીએ કહ્યું કે, આપણે જાણીએ છીએ કે કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ , ભરતી માટે તકલીફો એ ખાસ કરીને રાજ્યના યુવાનોએ વેઠી છે, સહન કરી છે. એમાંથી એમને બહાર કાઢવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઇ રહી છે, એમાં એક વર્ષની છૂટછાટ આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. 


તેમણે કહ્યું હતું કે, એક વર્ષની ભરતીમાં, જે કોમ્પિટિવ એક્ઝામો છે, એના માટે કોરોનાને કારણે કેટલીક પરીક્ષાઓ કેન્સલ થઈ, ન લેવાણી તો કેટલાક યુવાનો એલિઝિબલ ન થતા હોય, એના કારણે એક્ઝામમાં બેસી ન શકે. એમના માટે એક વર્ષની વયમર્દામાં છૂટ આપવામાં આવી છે. 1-9-2021થી 31-8-2022 સુધી સરકારની સીધી ભરતીમાં આ નિયમ લાગુ પડશે. સ્નાતક અને સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા 35 હતી, જે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે હવે 36 વર્ષની વયમર્યાદ રહેશે. સ્નાતકથી નીચેની લાયકાત કક્ષામાં બિન અનામત પુરુષની વય મર્યાદા 33 હતી, જે વધારીને 34 વર્ષ કરવામાં આવી છે. એસ.ટી., એસસી અને ઓબીસી અને આર્થિક રીતે નબળા કેટેગરીમાં પુરુષ ઉમેદવારો, આ કક્ષામાં સ્નાતક માટેની હાલની વય મર્યાદા 40 હતી, જેમાં એક વર્ષનો વધારો કરી 41 કરાઈ છે. આ કક્ષામાં સ્નાતકથી નીચેની કેટેગરી માટે વય મર્યાદા 38 હતી, જેમાં વધારો કરીને 39 કરવામાં આવી છે. 


તેમણે કહ્યું હતું કે, મહિલા અનામત કેટેગરીમાં મહિલાઓને 5 વર્ષની છૂટછાટ જે મળતી હોય છે , એ પછી સરકારી ભરતીમાં 45 વર્ષની વય મર્યાદા હોય છે, તેને યથાવત રાખવામાં આવી છે. તેમને કોઈ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. મહિલા અનામતમાં સ્નાતકથી નીચેની કેટેગરીમાં હાલ 38 વર્ષની વય મર્યાદા છે, જેમાં એક વર્ષનો વધારો કરીને 39 કરવામાં આવી છે. જ્યારે સ્નાતક કક્ષામાં એક વર્ષનો વધારો કરીને 41 કરવામાં આવી છે. તો એસસી, એસટી, ઓબીસી અને ઇબીસી વર્ગની સ્નાતકથી નીચેની મહિલા કક્ષામાં વય મર્યાદા 43થી વધારીને 44 કરવામાં આવી છે.