ગુજરાત સરકારે વાહનચાલકોને આપી રાહત, હેલ્મેટ-PUCની મુદ્દતમાં આટલા દિવસનો કર્યો વધારો
abpasmita.in | 05 Oct 2019 04:51 PM (IST)
સાથે જ સરકાર રિક્ષા ચાલકોને પણ રાહત આપી છે
ગાંધીનગરઃ નવા મોટર વ્હીકલ્સ એક્ટને લઇને સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વાહનચાલકોને રાહત આપતા હેલ્મેટ , PUC અને HSRPની નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારે સમયમર્યાદામાં વધારો કરતા 31 ઓક્ટોબર સુધી મુદ્દત વધારી છે. સાથે જ સરકાર રિક્ષા ચાલકોને પણ રાહત આપી છે. રિક્ષા ચાલકોની માંડવાળ ફી 10 હજારથી ઘટાડીને 2500 રૂપિયા કરી છે. તે સિવાય નવા ટ્રાફિક નિયમોને લઇ રિક્ષા ચાલકોની કેટલીક માંગને લઇને પણ સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે. આ જાણકારી આપતા વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ સુનયના તોમરે કહ્યુ કે, તહેવારો નજીક હોવાના કારણે પીયુસી અને હેલ્મેટની સમય મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. સાથે રીક્ષા ચાલકોની મોટાભાગની માંગ પણ સ્વીકારી લેવામાં આવી છે અને તેમના માટે પણ સરકારે સકારાત્મક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, સરકારે નિર્ણય લીધો છે કે રિક્ષા ચાલકોને લાયસન્સ માટે કમ્પ્યુટર ટેસ્ટ આપવો પડે છે, જેમાં કેટલાકને કમ્પ્યુટરની માહિતી નથી હોતી તો તેમને હવે સરકાર ટ્રેનિંગ પણ આપશે. તે સિવાય રિક્ષા ચાલકો માટે રિક્ષાનો જ ડ્રાઈવ ટેસ્ટ લેવામાં આવશે. આ સિવાય રિક્ષા ચાલકોએ માંગ કરી હતી કે તેમના લાયસન્સ રિન્યુ માટે એક વર્ષના બદલે વધારે સમય આપવામાં આવે, પરંતુ આમાં કાયદાની જોગવાઈ હોવાથી તે શક્ય નથી.