ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યા પછી ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. આજે રૂપાણી સરકારે નાઇટ કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત કરી છે. ચાર મહાનગરોમાં આગામી 15મી ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.


જોકે, રૂપાણી સરકારે નાઇટ કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપી છે. હવે ચાર મહાનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે. નોંધનીય છે કે, ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ તા.૨૭ જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન કરાશે. જે ૧ ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૧ સુધી રાજ્યમાં નિયત કરવામાં આવ્યું છે.

ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે, રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં આગામી તા.૧૫ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુનો અમલ રાત્રે ૧૧ થી સવારના ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે.

પંકજકુમારે કહ્યું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં ગુજરાતમાં તો રાજ્ય સરકારના સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોના સક્રિય સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદ અંશે ઘટાડી શકાયો છે. રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ ૯૬.૯૪ સુધી લઇ જવામાં સફળતા મળેલી છે.