ગાંધીનગરઃ કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણને લઇને રૂપાણી સરકારે આજે કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતુ કે, રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક સ્કૂલોમાં એક જૂન સુધી વેકેશન રહેશે. તેમણે કહ્યું કે, અગાઉ આપણે એવો નિર્ણય લીધો હતો કે ચાલુ વર્ષે શૈક્ષણિક સત્ર 20 એપ્રિલે શરૂ કરવામાં આવવાનું હતું પરંતુ લોકડાઉનના કારણે 20 એપ્રિલના રોજ શૈક્ષણિક સત્ર શરૂ કરવું શક્ય નથી જેથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વેકેશન 1 જૂન પછી પુરુ થશે.


તે સિવાય તેમણે સ્કૂલોની ફી અંગે ગુજરાત સરકારે ત્રણ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ કે, માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી ભરવા માટે વાલીઓને આગામી 6 મહિનાની મુદત મળશે. લોકડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઈ ઉતાવળ નહીં કરે. ત્રિમાસિકને બદલે માસિક ફી ભરવાની પણ સંમત્તિ અપાશે. તે સિવાય તેમણે કહ્યુ કે, ધોરણ-૧૦ અને ૧ર ની બોર્ડની પરિક્ષાના પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી તા. ૧૬ એપ્રિલ ગુરૂવારથી શરૂ થશે.

બીજી જાહેરાત કરતાં અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, આવતાં શૈક્ષણિક વર્ષમાં ગુજરાતની કોઈ પણ સ્કુલ ફી વધારો કરી શકશે નહીં. વાલીની આર્થિક સ્થિતી અને અનુકૂળતા સગવડ મુજબ જરૂર જણાયે 6 મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે.

વધુમાં અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતની એક પણ સ્કુલો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી શકશે નહીં. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળાના સંચાલકો સાથે આ સંદર્ભમાં એક ફળદાયી બેઠક યોજી હતી જેના ફળ સ્વરૂપે આ નિર્ણયો કરવામાં આવ્યા છે.