ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે લોકડાઉનના કારણે પડેલા મારમાંથી લોકોને રાહત આપવા માટે રૂપિયા 14 હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજમાં વીજળીના વપરાશકારોને પણ સંખ્યાબંધ રાહતો આપવામાં આવી છે. આ પૈકી નાના દુકાનદારોને વીજ બિલમાં વીજકરમાં 5 ટકાની રાહત અપાઈ છે.


આ ઉપરાંત રાજ્યના માર્ગ અને મકાન, સિંચાઇ, પાણી પુરવઠા અને નર્મદા જેવા વિભાગોના સરકારી કામો માટે કોન્ટ્રાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન પ્રોજેક્ટનું કામ બંધ હોવાથી આ દરમિયાન ચાર્જ કરવામાં આવેલ ફિક્સ્ડ વીજ બિલને માફ કરીને રૂપિયા 5 કરોડની સહાય આપવામાં આવશે.

રૂપાણી સરકારે આ જાહેરાત કરતાં કહ્યું કે, કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ, શોપીંગ સેન્ટરો અને મોલમાં આવેલી દુકાનો સહિતની નાની દુકાનો બંધ હતી. આ ઉપરાંત વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટાન્સપોર્ટની ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડીઓ, બ્યુટી પાર્લર, સલુન ચલાવતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આવક થઇ ન હતી. આ તમામ વ્યવસાયિકોને આર્થિક રાહત આપવાના હેતુથી જુન, જુલાઇ અને ઓગષ્ટના ત્રણ મહિના માટે લાગતો વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરવામાં આવશે.

આ યોજનાનો ૩૦ લાખ જેટલા દુકાનદારો, વેપારીઓ, કારીગરોને ફાયદો મળશે. રાજ્ય સરકારે તેમને માટે 30 કરોડની રાગત જાહેર કરી છે.