ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે લોકડાઉનના કારણે ઠપ્પ થયેલી આર્થિક પ્રવૃત્તિને કારણે પડેલા મારમાંથી લોકોને રાહત આપવા માટે રૂપિયા 14 હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજમાં વીજળીના વપરાશકારોને પણ સંખ્યાબંધ રાહતો આપવામાં આવી છે.


આ પેકેજ પ્રમાણે માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું 100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. રાજ્યના આશરે 92 લાખ વીજ ગ્રાહકોને આ જાહેરાતના કારણે રૂપિયા 650 કરોડ ની વીજ બીલ માફીનો લાભ મળશે. આ ઉપરાંક અંદાજે ૩૩ લાખ કોમર્શિય અને ઉદ્યોગો માટે વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે 2020નો ફિક્સ્ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી કુલ રૂપિયા 200 કરોડની રાહત મળશે.

આ ઉપરાંત વીજળીનું લૉ ટેન્શન ઇન્ડસ્ટ્રીયલ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને મે 2020ના ફિકસ ચાર્જમાં રૂપિયા 400 કરોડની રાહત આપવામાં આવી છે. ફિક્સ ચાર્જની ચૂકવણી સપ્ટેમ્બર 2020થી ડિસેમ્બર 2020ના ચાર મહિનામાં વ્યાજ વગર સરખા હપ્તામાં ચૂકવવાની છુટ આપવામાં આવી છે.