ગુજરાતમાં શિક્ષકોની માઠી દશા, જાણો રાજ્ય સરકારે હવે કઈ નવી કામગીરી સોંપી દીધી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jun 2020 11:08 AM (IST)
શિક્ષકો હવે હોમ લર્નિંગ માટે ટેલિફોન અભિયાન ચલાવશે અને રોજ 15 વિદ્યાર્થી તથા વાલીઓને ટેલિફોન કરી માર્ગદર્શન આપવાનું રહેશે.
પ્રતિકાત્મક તસવીર.
ગાંધીનગરઃ ગુજરાતમાં લોકડાઉન અને કોરોનાના કારણે સ્કૂલો બંધ છે પણ શિક્ષકોની માઠી દશા બેઠી છે. રાજ્ય સરકાર શિક્ષકોને એક પછી એક કામ સોંપ્યા જ કરે છે અને વ્યસ્ત રાખ્યા કરે છે. રાજ્ય સરકારે લીધેલા તાજા નિર્ણય પ્રમાણે હવે રાજ્યમાં હોમ લર્નિંગ માટે શિક્ષકોને કામે લગાડાશે. શિક્ષકો હવે હોમ લર્નિંગ માટે ટેલિફોન અભિયાન ચલાવશે અને રોજ 15 વિદ્યાર્થી તથા વાલીઓને ટેલિફોન કરી માર્ગદર્શન આપવાનું રહેશે. શિક્ષકો આ કામમાં લાલિયાવાડી ના ચલાવે એટલા માટે શિક્ષકોએ આ સંપર્ક અંગે રોજેરોજનું રજીસ્ટર પણ નિભાવવાનું રહેશે . આ રજિસ્ટરમા કોને ફોન કર્યા ને શું વાત થઈ તેની વિગતો લખવી પડશે. હોમ લર્નિંગના અસરકારક અમલ અંગે શિક્ષણ વિભાગે સૂચના જારી કરી છે . એન સી આર ટી ની ગાઈડ લાઇન્સ પ્રમાણે દરેક શિક્ષકે રોજ પોતાના વર્ગખંડના 15 વિદ્યાર્થીઓ અથવા તેમના વાલીઓનો સંપર્ક કરવાનો રહેશે. આ સંપર્ક નું રોજ રજીસ્ટર નિભાવ્યું છે કે કેમ તે જોવાની જવાબદારી શાળાના આચાર્યની રહેશે. કેળવણી નિરીક્ષક, બી આર સી અને સી આર સી કોર્ડીનેટર પણ સતત મોનીટરીંગ કરશે. આ સૂચનાના ચુસ્ત અમલ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને જણાવવામાં આવ્યું છે.