ગાંધીનગરઃ કોરોનાના કારણે લોકોમાં ફફડાટનો માહોલ છે અને વાલીઓમાં સ્કૂલો ખોલવા અંગે ભારે ઉત્સુકતા છે.  આ માહોલમાં  વિજય રૂપાણી સરકારે ધોરણ 1 થી ધોરણ 5ના બાળકો માટે દિવાળી પછી પણ શાળા નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાના સંકેત છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સંકેત   આપ્યા છે અને તેના કારણે કોરોના મહામારી વચ્ચે વાલીઓ માટે સારા સમાચાર આવ્યા છે.


શિક્ષણ મંત્રી ચુડાસમા અને  શાળા સંચાલકો વચ્ચેના વેબીનારમાં ચુડાસમાએ એ પ્રકારના સંકેત આપ્યા હતા કે, ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળાઓ નહિ ખુલે.


મળતી જાણકારી અનુસાર દિવાળી વેકેશન બાદ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરીથી શરૂ કરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોરણ 6 થી 8ના બાળકોને સ્કૂલમાં આવવાની છૂટ આપવા વિચારણા ચાલી રહી છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, પહેલા ચરણમાં 9 થી 12ની શાળાઓ શરૂ કરાશે. બાદમાં સ્થિતિ કાબૂમાં આવે તો નાના વર્ગો ખોલવા પર વિચારણા કરવામાં આવશે.