અમદાવાદ: ગુજરાતમાં ભ્રષ્ટ્રાચાર કરવામાં ગૃહ વિભાગ પહેલા સ્થાને છે જ્યારે મહેસૂલ વિભાગ બીજા સ્થાને અને પંચાયત , ગ્રામ ગૃહ નિર્માણ

  વિભાગ ત્રીજા સ્થાને છે. આ માહિતી આપતાં એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ના ડેપ્યુટી ડાયરેક્ટર ડી  પી વાઘેલાએ જણાવ્યું કે, રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો માટે વર્ષ 2021નું વર્ષ સૌથી નોંધપાત્ર રહ્યું હતું.


તેમણે કહ્યું કે, અમદાવાદ રેંજના આરઆર સેલના  એક પોલીસ કર્મચારીએ રૂપિયા 50 લાખની લાંચ માંગી હતી. આ  એસીબીના ઇતિહાસનો સૌથી મોટો લાંચનો રૂપિયા  50 લાખનો કેસ હતો. આ ઉપરાંત કોઇ સીંગલ કેસમાં એસીબીના ઇતિહાસની સૌથી મોટી રૂ.2.28 કરોડની રોકડ જપ્તી  પણ ગયા વર્ષમાં કરવામાં આવી હતી.   


ગાંધીનગર સેક્ટર -17 ખાતે સમગ્ર શિક્ષા અભિયાન  સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર નિર્પુણ ચોકસીના રિમાન્ડ દરમિયાન  અલગ અલગ બેંકના લોકર્સમાંથી રૂ. 2.28 કરોડની રોકડ મળી આવી હતી. જે અત્યાર સુધી સૌથી મોટી રોકડ જપ્તી છે.


તેમણે માહિતી આપી કે, 2021માં  રાજ્યનો ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ વિભાગ હતો. એસીબીએ 74 આરોપીઓ સામે કુલ 49  કેસ   ગુના નોંધ્યા હતા. આ આરોપીઓમાં વર્ગ 3ના 47 આરોપીઓનો સમાવેશ થતો હતો.   


 મહેસૂલ વિભાગમાં 29 કેસ નોંધાયા હતા અને 45 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વર્ગ 1ના પાંચ  આરોપીઓનો સમાવેશ થાય છે.  પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ  અને ગ્રામ વિકાસ વિભાગમાં ભષ્ટ્રાચાર વધ્યો હોવાનો ખુલાસો એસીબીએ કર્યો છે. જેમાં 48 આરોપીઓ સામે કુલ 27 કેસ નોંધાયા હતા.


એસીબીએ વર્ષ 2021 દરમિયાન 173 કેસ નોંધીને 287 આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. જેમા  ટ્રેપના 122  અને અપ્રમાણસર મિલકતોના  11 કેસનો સમાવેશ થાય છે. એસીબીએ જે 287 આરોપીઓ સામે કાર્યવાહી કરી 103 ખાનગી  વ્યક્તિ છે.   સૌથી વધારે વર્ગ 3ના  કર્મચારીઓ  દ્વારા જ ભ્રષ્ટાચાર કરાયો હતો.