અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જોકે આવતાં અઠવાડિયાથી શરૂ થતી નવરાત્રીના પહેલા ત્રણ દિવસ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આગામી ચાર દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

સાઈક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે 23મી સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. આ દરમિયાન દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરી એવું હવામાન વિભાગે કહ્યું છે. ગુજરાતમાં અનેક જગ્યાએ આગામી બે દિવસ ગાજવીજ વરસાદ પડે તેવા એંધાણ છે.

સોમવાર-મંગળવારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, મહિસાગર અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 27 અને 28 તારીખે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ તુટી પડશે.

25-26 તારીખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવગનર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ સહિત કચ્છમાં વરસાદ જોવા મળશે. ઉત્તર અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર ગુજરાતના દરિયા કિનારે જોવા મળશે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે.