ગાંધીનગર: શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને પેન્શનરોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા છઠ્ઠુ પગાર પંચ મેળવતા શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં મોંઘવારી ભથ્થાનો પણ વધારો કરવામાં આવ્યો છે. આ કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 10 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી છે.


જે કર્મચારીઓ શિક્ષણ વિભાગમાં છઠ્ઠા પગાર પંચને આધીન છે તેમને 1-7-2019થી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. કર્મચારીઓને 1-1-2020થી આ વધારો રોકડમાં ચુકવવામાં આવશે. આ ઉપરાંત સરકારે વિદ્યાસહાયકો માટે પણ મોટો નિર્ણય કર્યો છે. જે વિદ્યાસહાયકોએ બે વર્ષ પૂર્ણ કર્યાં છે તેમને નિયમિત શિક્ષક તરીકેનો લાભ આપવાની સરકારે જાહેરાત કરી છે.

બે વર્ષ પૂર્ણ કરનારા 1,404 વિદ્યાસહાયકોને સરકારે નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા સરકારે ગત વર્ષે જૂન મહિનામાં તમામ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો જાહેર કર્યો હતો. જોકે, કેન્દ્ર સરકારે પણ વધારો જાહેર કરવાની જાહેરાત કરી હતી.