ગાંધીનગરઃ ગુજરાત પર હાલ મેઘરાજા મહેરબાન થયા છે અને સમગ્ર રાજ્યમાં હેત વરસાવી રહ્યા છે. જેના કારણે અત્યાર સુધીમાં ૧૧૭ ટકા વરસાદ થયો છે. જેમાં ૨૫ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ તેમજ  રાજ્યના તમામ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા  ૩૦ વર્ષમાં આ નવમું વર્ષ છે કે જેમાં ૯૫૧થી વધુ  મી.મી. વરસાદ થયો છે. ગત વર્ષ-૨૦૧૮માં આ સમયે ગુજરાતમાં ૭૬.૭૩ ટકા વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં ૮૪.૪૩ લાખ હેક્ટર વિસ્તારમાં ખરિફ વાવેતર થયું છે. સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૬.૮૪ મીટર પર પહોંચી છે, તેમ આજે ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વૉચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનર અને સચિવ કે. ડી. કાપડિયાએ જણાવ્યું હતું.


ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી જયંત સરકારે જણાવ્યું હતું કે, એન્ટી સાયકલોનિક સર્ક્યુલેશનને પરિણામે આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ વરસાદ થશે. આગામી સંભવિત તા.૨૬ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. સમગ્ર દેશમાં ૧ જૂન થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ગુજરાતમાં ૨૦ ટકા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ રીજિયનમાં ૪૪ ટકા વધુ વરસાદ થયો છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક વધશે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ૩ ટકા વધુ વરસાદ થયો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

નર્મદા ડેમની સપાટી વધતા નર્મદાનું વધારાનું પાણી  સાબરમતી, બનાસ, પુષ્પાવતી અને રૂપેણ  નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ, ઓલપાડ, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, લુણાવાડા, અને દાહોદમાં ૧-૧, ભરૂચ અને ગાંધીનગરમાં ૨-૨ તેમજ વાઘોડિયામાં ૪ ટીમ એમ કુલ એનડીઆરએફીની૧૫ ટીમો તહેનાત કરવામાં આવી છે તેમ, રાહત કમિશનરે ઉમેર્યું હતું.  આ બેઠકમાં આરોગ્ય પાણી પુરવઠા, નર્મદા જળ સંપત્તિ, કૃષિ, સિંચાઇ, ઉર્જા સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદથી મુંબઈ માત્ર સાડા છ કલાકમાં જ પહોંચાડશે આ ટ્રેન, જાણો કયારથી થશે શરૂ અને કેવી છે સુવિધા

નવા ફીચર્સ સાથે હોન્ડાનું BS 6 સ્કૂટર Activa 125 થયું લોન્ચ, જાણો શું છે કિંમત

દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું, જાણો માત્ર 3 કલાકમાં કેટલો વરસાદ ખાબક્યો