અમદાવાદ: દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન આગામી 5 દિવસ ગુજરાતમાં સામાન્યથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે તે 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે.

આ આગાહીના પગલે જ દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી વકી છે. દક્ષિણ-પશ્ચિમ મુંબઈથી 492 કિમી દૂર સમુદ્રમાં ડિપ ડિપ્રેશન સક્રિય થયું છે. દ્વારકાના સલાયા, વાડિનાર, ભોગાત, નાવદ્રા બેટના બંદરોને દરિયો ન ખેડવા તાકીદ કરી છે.

અરબી સમુદ્રમાં ‘ક્યાર’ વાવાઝોડું સક્રિય થયું છે જે 6 કલાકે 7 કિ.મી.ની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવઝોડાના કારણે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ મહારાષ્ટ્રથી 210 કિલોમીટર દૂર ‘ક્યાર’ નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને હાલ તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડું વધુ મજબૂત બનશે. આ વાવઝોડામાં પવનની ગતિ 70-80 કિમીની ઝડપે છે. ‘ક્યાર’ નામના વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિણમ્યા બાદ હવે આગામી 48 કલાક દરમિયાન વાવાઝોડામાં પરિણમવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાઈક્લોનિક સરક્યુલેશન આરંભમાં પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યાર બાદ પશ્ચિન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાઈકાંઠા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. વરસાદના કારણે અમેરલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, સુરત, સહિતના જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નુકશાની થઈ હોવાના અહેવાલો આવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની સમસ્યામાં વધારો થવાની સંભાવના છે.