અમદાવાદઃ લોક રક્ષકની ભરતી માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. હવે લોક રક્ષક ભરતી માટેના ઉમેદવારોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારોને ટ્વીટ કરીને જાણ કારી આપી છે કે,  લોકરક્ષક માટે અરજી કરવા માટે ડોમીસાઈલ સર્ટીફીકેટની આવશ્યકતા નથી. આ સાથે અન્ય એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. 








હસમુખ પટેલે માહિતી આપી છે કે,  લોકરક્ષકના અરજી ફોર્મની પ્રિન્ટ આઉટમાં શરતચૂકથી જુનુ સરનામું Raksha Shakti University, New Mental Corner, Meghaninagar, Ahmedabad – 380016 રહી ગયેલ છે. તેના બદલે જાહેરાતમાં દર્શાવેલ છે તે સરનામું ધ્યાને લેવાનું રહેશે.સરનામું સુધારી દેવામાં આવ્યું છે. નવેસરથી ફોર્મ ભરવાની જરૂર નથી


નોંધનીય છે કે, ગુજરાત પોલીસ દળમાં LRDની 10,459 જગ્યાની ભરતી જાહેર થઈ છે. ભરતી બોર્ડના અધ્યક્ષે પોલીસ સબ ઈન્સપેક્ટર તથા લોક રક્ષક દળની ભરતી માટેની જાણકારી આપી હતી. ફિઝિકલ બાદ ઓબ્જેક્ટિવ પરીક્ષા લેવાશે. મહિલાઓ માટે 1983 જગ્યા અનામત રાખવામાં આવી છે. 


ગુજરાત સરકારે પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસ અને LRDની સીધી ભરતીમાં 15 અને 8 ગણાનો નિર્ણય બદલ્યો. યુવાનોની માંગ સરકારે માની છે. શારીરિક કસોટી પાસ કરતાં સીધી લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહેશે.  પોલીસના સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે.


પોલીસ સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી પરીક્ષા નિયમોમાં સબ ઇન્સપેક્ટર સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ૧૫ ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે અને તે મુજબ લોક રક્ષક સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ૦૮ ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે ઉમેદવારોને તે પછીના તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની જોગવાઇ રદ કરવા માટે રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ઉમેદવારો તરફથી સરકારમાં રજૂઆતો કરવામાં આવેલ.


જે અંગે રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના હિતમાં હકારાત્મક વિચારણા કરીને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકે અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ કોઇપણ ઉમેદવાર આ તકથી વંચિત ન રહે તે લક્ષમાં લઇને ઉમેદવારોના હિતમાં પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારાઓ કરાયા છે.