ગાંધીનગરઃ ગુજરાતમાંથી વધુ એક ઉચ્ચ આઈએએસ અધિકારીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રમાં ડેપ્યુટેશન પર લઈ જશે. કોરોના રોગચાળા વખતે રોજેરોજ કોરોનાના અપડેટ આપીને લાઈમલાઈટમાં આવેલાં ગુજરાતનાં આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિને કેન્દ્રમાં લઈ જવાશે અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં નિમણૂક અપાશે. પુડ્ડુચેરીમાં પણ વિધાનસભાની ચૂંટણી છે અને એઆઈએડીએમકે-ભાજપની સરકાર આવશે તો જ્યંતિ રવિને પુડ્ડુચેરીનાં ચીફ સેક્રેટરી બનાવી દેવાશે. સેન્ટ્રલ ડેપ્યુટેશન પાંચ વર્ષ માટે હોય છે તેથી જ્યંતિ રવિ પુડ્ડુચેરીમાં જ નિવૃત્ત થાય એવો તખ્તો ઘડાઈ રહ્યો છે.


રાજ્ય સરકારનાં સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડો. જ્યંતિ રવિના સેન્ટ્રેલ ડેપ્યુટેશન માટે ભારત સરકારમાંથી લીલીઝંડી આપી દેવાઈ છે. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ બાદ 1991ની બેચનાં આઈએએસ અધિકારી  ડો. જયંતિ રવિની પુડ્ડુચેરી ખાતે ડેપ્યુટેશન સાથે ટ્રાન્સફર નક્કી મનાય છે.


પુડ્ડુચેરીમાં પણ વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. પુડ્ડુચેરીમાં નવી સરકારની રચના બાદ ગુજરાત કેડરના જયંતિ રવિને ચીફ સેક્રેટરી બનાવાય તેવા પણ સંકેતો પ્રાપ્ત થયા છે. રાજ્ય સરકારનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ડો. જયંતિ રવિ પહેલાં ભારત સરકારના આરોગ્ય વિભાગમાં ડેપ્યુટેશન ઉપર જશે. પુડ્ડુચેરીમાં મહર્ષિ અરવિંદ દ્વારા સ્થપાયેલા અને હાલમાં ભારત સરકારના આરોગ્ય વિભાગના તાબા હેઠળ રહેલાં ઓરોવિલ ફાઉન્ડેશનમાં તેમની નિમણૂક થશે. આઈએએસ અધિકારી ડો. જ્યંતિ  રવિ ઓગસ્ટ 2027માં વયનિવૃત થશે. ડો. જ્યંતિ રવિએ કોરોના કાળમાં આરોગ્ય વિભાગના અગંર સચિવ તરીકે બજાવેલી કામગીરી ઉપરાંત તેમનાં રાજકીય કનેક્શન પણ તેમને કામ લાગ્યાં છે.