અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યાં ફરીથી પૂર્વ મધ્યપ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી બે સપ્તાહ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશનની બે વરસાદી સિસ્ટમના કારણે લો પ્રેશર સર્જાયું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ સહીત રાજ્યમાં આ પ્રેશરના કારણે ભારે વરસાદ આવશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે ફરીથી રાજ્યના ખેડૂતો અને લોકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી બે સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. પૂર્વ મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગના જયંત સરકારે આગામી પરિસ્થિતિની જાણકારી આપી છે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે.

હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લો-પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. લો-પ્રેશર સર્જાશે તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે.

હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થશે.

ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં કુલ 15 NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, ઓલપાડ, ઉપલેટા, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, અરવલ્લી, પાલનપુર, ભૂજ અને દાહોદ ખાતે એક-એક ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. જ્યારે વડોદરા ખાતે ત્રણ અને ગાંધીનગર ખાતે એક ટીમ અનામત રાખવામાં આવી છે.

પૂર્વ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર નિર્માણ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસ એટલે કે, 4 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે. આ ઉપરાંત પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ અને સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.