‘સૌ ભણે ગણે અને આગળ વધે’ તેવા ઉમદા હેતુથી તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો આજે દેશભરમાં પ્રેરક અનુકરણીય બની રહ્યા છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાના માર્ગદર્શનમાં અનેક નવી યોજનાઓ દ્વારા શિક્ષણનો વ્યાપ સતત વધી રહ્યો છે. આવી એક શિક્ષણલક્ષી યોજના છે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’. આ વર્ષે જ પ્રથમવાર અમલમાં આવેલી આ યોજના અંતર્ગત ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં રાજ્યના ઉચ્ચતર માધ્યમિકના ૧.૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને ૧૨ કરોડ રૂપિયા કરતા વધુની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે તેવું શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.


શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજના હેઠળ સુરત જિલ્લામાં સૌથી વધુ ૧૬,૨૬૫ વિદ્યાર્થીઓને ૧.૬૨ કરોડ રૂપિયાથી વધુની સહાય, અમદાવાદ જિલ્લામાં ૧૦,૪૧૧ વિદ્યાર્થીઓને ૧.૦૪ કરોડ રૂપિયા, રાજકોટ જિલ્લામાં ૮,૬૯૭ વિદ્યાર્થીઓને ૮૬ લાખથી વધુ રૂપિયા, બનાસકાંઠા જિલ્લામાં ૮,૨૨૧ વિદ્યાર્થીઓને ૮૨ લાખથી વધુ રૂપિયા તેમજ નવસારી જિલ્લામાં ૬,૫૬૦ વિદ્યાર્થીઓને ૬૫ લાખથી વધુ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આમ રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ મળીને અંદાજિત ૧.૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને ૧૨ કરોડ રૂપિયા કરતા વધુની સહાય ચૂકવવામાં આવી છે.            


આ ઉપરાંત ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં કુલ ૨૫૦ કરોડ રૂપિયાની જોગવાઇ ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ માટે કરવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની અગત્યતાને ધ્યાને રાખીને વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે, જેનો અમલ પ્રથમવાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી કરવામાં આવ્યો હતો. આ યોજનાના અમલથી રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવેલ અને તકનીકી કૌશલ્ય ધરાવનાર યુવાધન માટે વિવિધ ક્ષેત્રોમાં વિપુલ તકો ઉપલબ્ધ થશે.


વધુમાં આ યોજનાનો લાભ જે વિદ્યાર્થીઓ ધો-૧૦ની બોર્ડ પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી /અનુદાનિત/ સ્વ નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક  વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને કુલ ૨૫,૦૦૦ રૂપિયાની રકમ  સહાય તરીકે ચૂકવવામાં આવે છે. આ રકમની ચૂકવણી સીધી જ લાભાર્થીના બેન્ક ખાતામાં DBTના માધ્યમથી જમા કરવામાં આવે છે.