ગાંધીનગરઃ રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે બંછાનિધી પાણીની નિમણૂક કરાઈ છે જ્યારે ભાવનગરના નવા કલેક્ટર તરીકે હર્ષદકુમાર રતિલાલ પટેલ નિમાયા છે. હર્ષદ પટેલ અગાઉ જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર હતા જ્યારે બંછાનિધી પાણી ભાવનગરના કલેક્ટર હતા. તેમને રાજકોટના કમિશ્નર તરીકે મૂકવામાં આવ્યા છે. પાણી આ પહેલાં અમદાવાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે અને અરવલ્લી જિલ્લાના કલેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવાની ઝુંબેશ ચાલુ રાખીને મંગળવારે રાત્રે રાજ્યના 23 આઈએએસ અધિકારીઓની બદલી કરી નાંખી હતી. બદલીઓના આ દોરમાં સુરત, રાજકોટ. જામનગર અને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નરોની પણ બદલી કરી દેવાઈ હતી. જો કે એ વખતે રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂક કરાઈ નહોતી. રૂપાણી રાજકોટના હોવાથી તે પોતાના ખાસ માણસને મૂકશે તેવી અટકળો ચાલતી હતી અને લોકોમાં ભારે ઉત્સુકતા હતી. છેવટે પાણીને આ સ્થાન માટે પસંદ કરાયા છે.