ગાંધીનગર: ગુજરાત સરકારે ચૂંટણી પૂર્ણ થયા બાદ ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત હવે ગુજરાતમાં 24 કલાક દુકાનો, મોલ્સ અને બજારો ખુલ્લી રાખી શકાશે. આ અગાઉ રાતના 12 વાગ્યા સુધી જ બજારો ખુલ્લી રાખવાનો હુકમ હતો. ગુજરાત સરકારે ગુમાસ્તા ધારા અમલવારીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

ગુજરાતના મોટાં શહેરો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો(નેશનલ હાઇવે), રેલવે પ્લેટફોર્મ, એસટી બસ સ્ટેશનો પર હોસ્પિટલો કે પેટ્રોલપંપો પરની તમામ દુકાનો, હોટેલો, રેસ્ટોરન્ટ, સિનેમાગૃહો, દવાખાનાં કે અન્ય વ્યાવસાયિક સંસ્થાનો ચોવીસ કલાક ખુલ્લાં રાખી શકાશે. હવેથી પોલીસ કે અન્ય કોઈ સત્તાતંત્ર આ દુકાનોને બંધ કરવા ફરજ પાડી શકશે નહીં.

જોકે નાના શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો, હોટેલો કે અન્ય સંસ્થાનો ખુલ્લા રાખવા માટેનો સમયગાળો ચોવીસ કલાક નહીં રહે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, રાજ્યપાલ પાસેથી મંજૂરી મળ્યાં બાદ આ કાયદાના અમલીકરણ માટે અમે ચૂંટણી પંચની મંજૂરી માગી હતી. આ મંજૂરી મંગળવારે જ મળી જતાં હવે મધરાતથી જ આ કાયદો અમલમાં આવી ગયો છે.

મનપા વિસ્તારમાં સમાવિષ્ટ મહાનગરો, નેશનલ હાઈવે, રેલવે સ્ટેશનો, એસટી બસ સ્ટેશનો કે હોસ્પિટલમાં આવેલાં વ્યાવસાયિક સંસ્થાઓ ચોવીસ કલાક ખુલ્લા રાખી શકાશે. નગરપાલિકા વિસ્તારો કે સ્ટેટ હાઇવે પરના સંસ્થાનો રાત્રે 2થી 6ના સમયગાળા સિવાયના કલાકો દરમિયાન ગમે ત્યારે ખુલ્લા રહી શકે. આ સિવાયના ગ્રામ્ય વિસ્તારો કે રોડ પરના સંસ્થાનો રાત્રે અગિયારથી વહેલી સવારે છ વાગ્યા સુધીના સમયગાળા સિવાયના કલાકોમાં ખુલ્લાં રાખી શકાશે.