ગાંધીનગર: ગયા બુધવારે ઉદેપુરની હોટેલમાં આપઘાત કરનાર મોડાસાના દંપતિમાંથી મહિલાના બે સગા ભાઈનું ગાંધીનગર નજીક દહેગામ-નરોડા રોડ પર માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. બન્ને ભાઈઓ તેમના ભાણેજોને તેમના માતા પિતાના મોતના સમાચાર આપવા માટે મોડાસા જઈ રહ્યા હતા ત્યારે તેમની કારને સામેથી આવતાં ડમ્પરે ટક્કર મારતાં બન્નેના મોત થયા હતાં.

દહેગામ-નરોડા રોડ પર વડોદરા પાટીયા પાસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શૈલેષભાઈ શાહ ચાંદખેડાના બે ભાઈ પરાગ મોદી અને મેહુલ મોદી સાથે કારમાં મોડાસા જવા નીકળ્યા હતા. તે સમયે વડોદરા ગામના પાટિયા પાસે સામેથી આવતું ડમ્પર કાર સાથે ધડાકાભેર અથડાયું હતું. જેમાં બે સગા ભાઈ એવા પરાગ અને મેહુલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે શૈલેષભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતાં.

અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બન્ને ભાઈઓ પરાગ અને મેહુલ મોદી તેમની બહેન દામિની અને બનેવી નૈનેશ શાહના મોતની જાણ તેમના ભાણેજોને કરવા માટે મોડાસા જઈ રહ્યા હતા ત્યારે તેમની કારને પણ અકસ્માત નડતા બન્નેના મોત નિપજ્યાં હતાં.

એક અઠવાડિયામાં એક જ પરિવારના ચાર સભ્યોના મોતના થતાં સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નોંધનીય છે કે, મોડાસાના વેપારી નૈનેશ શાહ અને તેમની પત્ની દામિની શાહ અને પુત્ર નંદ પુત્રી વિધિના ઉદેપુરમાં સામુહિક આત્મહત્યાના પ્રયાસમાં પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું જ્યારે પુત્ર-પુત્રીને તાત્કાલિક સારવાર મળી જતાં તે બચી ગયા હતા.