STના કર્મચારીઓ બાદ રાજ્યના 2.15 લાખ શિક્ષકો આંદોલનના માર્ગે, આજે વિધાનસભાનો ઘેરાવ કરશે
abpasmita.in | 22 Feb 2019 09:23 AM (IST)
ગાંધીનગર: 2019ની ચૂંટણી આવતા પહેલા તો સરકાર પાસે જાણે બધા કર્મચારીઓ પોતાની માંગણી સંતોષાઇ જાય તેવું ઇચ્છી રહ્યાં છે. બુધવારે મોડી રાતથી એસટીનાં કર્મચારીઓએ સાતમા પગાર પંચની માંગ સાથે હડતાળ પર છે ત્યારે આજે પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યના સવા બે લાખ શિક્ષકો આજથી હડતાળ પર ઉતરશે તેમજ શિક્ષકો આજે એક દિવસની રજા રાખી છે. પડતર માગણીઓને લઈને આજે રાજ્યભરના શિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કરશે. શિક્ષકોની માગ છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે, અલગ ગ્રેડ પે, નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ વગેરે માંગો મૂકવામાં આવી છે. જોકે આજે વિધાનસભાનો ઘેરાવ કરવા જતા પહેલા 250થી વધારે શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. સવારે 5 વાગે પોલીસ દ્વારા શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે.