ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહ્યો છે. ત્યારે નવરાત્રિમાં નોમની રાત્રી પછી નીકળતી રૂપાલની પલ્લીને લઈને મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરના રૂપાલમાં પલ્લી નીકળવા અંગે હજુ અસમંજસ છે. જિલ્લા પ્રશાસને પોલીસ અને આરોગ્ય વિભાગ પાસે પલ્લીના આયોજન માટે રિપોર્ટ માંગ્યો છે. ગ્રામજનો સાથે ચર્ચા બાદ અંતિમ નિર્ણય લેવાઈ શકે છે.


ઉલ્લેખનીય છે કે શુક્રવારે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ગાંધીનગરના રૂપાલની વરદાયિની માતાની પલ્લી વિશે મોટી જાહેરાત કરી હતી. આ સાથે હવે રૂપાલની પલ્લી નીકળશે કે નહીં તે સવાલના જવાબ પર પૂર્ણવિરામ મૂકાયું હતું.

અગાઉ તંત્ર દ્વારા કોરોનાને કારણે રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજાય તેવી જાહેરાત કરી હતી. પરંતુ વર્ષોની પરંપરા તૂટે નહીં અને ગામ લોકોની સીમિત સંખ્યામાં પલ્લી યોજાય તેવી શક્યતા જોવાઈ રહી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રૂપાલની પલ્લીને લઈને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના કારણે આ વર્ષે રૂપાલની પલ્લી નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. નીતિન પટેલના આ નિવેદન બાદ રૂપાલની પલ્લી નિકળવાની આશ પર પાણી ફરી વળ્યું હતું.