રાજ્યમાં 23 નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળા-કોલેજોમાં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગેનો ઠરાવ ગુજરાતના શિક્ષણ વિભાગે બુધવારે બહાર પાડ્યો હતો. ગુરુવારે શિક્ષણ મંત્રીએ વર્તમાન સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. હાલના ઠરાવ પ્રમાણે ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ થશે તે મુજબની જાહેરાત કરી દીધી હતી.
ગુરૂવારે બપોરે ચુડાસમાએ જણાવ્યું હતું કે, કાળજી લેવાથી કામ ચાલે અને કોરોનાથી બચી પણ શકાય તેવો સંદેશ 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરીને ગુજરાત આપશે. એસ.ઓ.પી.ના પાલનની સુનિશ્ચિતતા માટે જિલ્લા-નગરો-તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરી છે. રાજ્ય સરકારે શાળા-કોલેજોમાં કેટલાં વિદ્યાર્થીઓ હાજર રહે છે, કેટલા વાલીઓની સંમતિ આવી છે તેની માહિતી દિવસમાં 3 થી 4 વાર રાજ્યકક્ષાએ મળે તેવી સંકલન વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. સ્થાનિક પરિસ્થિતિ, અનુકૂળતા અને સગવડતા માટે જરૂર જણાયે એસઓપીમાં નાના-મોટા ફેરફારો કરવાની તૈયારી દર્શાવી હતી. જિલ્લા કલેક્ટરો સાથે સંકલનમાં રહીને કંટ્રોલરૂમ કાર્યરત કરવાની વ્યવસ્થા ઊભી કરાઈ હોવાનું પણ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું.
ગુરૂવારે સાંજે રૂપાણી સરકારે ગુલાંટ લગાવીને આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો.