હિંમતગનરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ ગુજરાતમાં મૃત્યુઆંક પણ વધુ છે, ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. ગાંધીનગર ખાતે એસઆરપી માં ફરજ બજાવતા હિંમતનગરના વીરપુરના જવાનને બે દિવસ અગાઉ કોરોના પોઝિટિવ આવ્યો હતો.


કોરોના પોઝિટિવ આવ્યા બાદ જવાન ને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જોકે, અહીં જવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લામાં અત્યાર સુધી 4 વ્યક્તિના મોત થયા છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 35 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 31 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીની સરકારની અખબારી યાદી પ્રમાણે કુલ 694 લોકોના મોત થયા છે. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 555 લોકોના મોત થયા છે. આ ઉપરાંત સુરતમાં 53, વડોદરામાં 32 મોત થયા છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 11746 કેસો નોંધાયા છે. તેમજ હાલ 6248 લોકો સારવાર હેઠળ છે. જ્યારે 4808 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.