આજથી શરું થનારા ગુજરાત વિધાનસભાના ટૂંકા શિયાળુ સત્રના પ્રારંભે કોંગ્રેસે વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને વિધાનસભા ઘેરવાનું એલાન કર્યું છે. જોકે, સરકાર દ્વારા કોંગ્રેસની વિધાનસભા કૂચને મંજૂરી આપાવમાં ન આપી હોવાથી ગાંધીનગરમાં 1,500 પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા છે. કોંગ્રેસને વિરોધની મંજૂરી ન મળી હોવાથી મોડી રાત્રે વિપક્ષે કાર્યક્રમનું સ્થળ બદલ્યું છે.

આજનો દિવસ ગાંધીનગરમાં હંગામાથી ભરપૂર રહે તેવી શક્યતા છે. જુદાજુદા લોકપ્રશ્નોના મુદ્દે આજે વિરોધપક્ષ સરકારને ઘેરવા જઈ રહ્યો છે. આ દરમિયાન વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાત્રે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, ભાજપ સરકારની જોહુકમીને કારણે અગાઉ ડીપોઝીટ ભરી મળેલ મંજૂરી રદ કરતાં સ્થળ ફેરફાર થયેલ છે.

ગુજરાતમાં અલગ અલગ શહેરમાં બનેલી દુષ્કર્મની ઘટના, બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી, ખેડૂતોને પાક વીમાની સહાયતા અને તેમાં થયેલા છબરડાંઓ ઉપરાંત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહીતના મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરશે. કોંગ્રેસે સમગ્ર ગુજરાતમાંથી પક્ષના કાર્યકરોને ગાંધીનગર પહોંચવા માટે એલાન કર્યું છે.