ગાંધીનગરઃ કોરોના મહામારીમાંથી ગુજરાતને બહાર લાવવા સરકારે રચેલી ગ્રુપ ઓફ એક્સપર્ટ કમિટી આજે મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપશે. આ કમિટીએ ટેસ્ટિંગ પોલિસી સુધારવા સહિત મહત્વની ભલામણો સાથે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે આજે મુખ્યમંત્રી રૂપાણીને સોંપવામાં આવશે.


રાજ્ય સરકારે કોરોનાના ટેસ્ટ હજુ વધારવા પડશે તેવી ભલામણ કમિટી કરી શકે છે. આ મહામારીમાં ડોક્ટર્સ, દર્દીઓને પડતી તકલીફો ઓછી થાય તેને ધ્યાનમાં રાખીને પણ સૂચનો કરવામાં આવ્યા છે. કોરોનાના શંકાસ્પદ દર્દીનું ઝડપથી નિદાન થાય, ચેપગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં ઓછું રહેવુ પડે અને ઝડપથી સારવાર મળે એટલા માટે ટેસ્ટિંગ પોલિસી સહિત કેટલીક બાબતોને સુધારવા ભલામણો કરવામાં આવી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

સરકારે રચેલી આ કમિટીમાં પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડોક્ટર દિલીપ માલવંકર, આઈસીયૂ એક્સપર્ટ ડો.મહર્ષિ દેસાઈ, એસવીપીના ડોક્ટર અમી પરીખ, ડોક્ટર અતુલ પટેલ, ડોક્ટર વિઠ્ઠલ શાહ સહિતના તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો છે.