ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તોડફોડ ના કરે એ માટે જયપુર ખસેડાયેલા કોંગ્રેસના બે ધારાસભ્યો જયપુરથી અમદાવાદ પાછા આવી ગયા છે. ગ્યાસુદ્દીન શેખ અને સી.જે. ચાવડા જયપુર છોડીને અમદાવાદ આવી જતાં જાત જાતની અટકળો વહેતી થઈ હતી પણ બંને પોતાના કામે અહીં આવ્યા હોવાની સ્પષ્ટતા કરાઈ છે.


શાહપુર દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પારિવારિક કામ માટે અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં કોરોનાવાઈરસના ચેપના કેસના પગલે લોકડાઉ જાહેર કરાતાં શેખ અમદાવાદમાં જ રોકાઇ ગયા છે. શેખ રવિવારે અમદાવાદ રેલવે સ્ટેશન પર ફસાઇ પડેલા લોકોની મદદે ગયા હતા. પ્રવાસીઓના જમવાની વ્યવસ્થા પણ તેમણે કરી હતી. આ ઉપરાંત ફસાયેલા પ્રવાસીઓને તેમનાં ઘરે મોકલવા માટે વાહનની સુવિધા પણ કરી આપી હતી. ગાંધીનગરના ધારાસભ્ય સી. જે. ચાવડાને આંખની તકલીફ થતાં પાછા ફર્યા છે. ચાવડા હાલ આંખની સારવાર માટે અમદાવાદ જ રોકાઈ ગયા છે.

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપતાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રીસોર્ટમાં ખસેડી દેવાયા હતા. કોંગ્રેસના 68માંથી 66 ધારાસભ્યો અને બન્ને ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી હાલ જયપુર જ છે. આ ઉપરાંત કોંગ્રેસના ઘણા નેતા પણ હાલ આ રીસોર્ટમાં જ છે.