મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તારીખ 31મી મેના રોજ પૂરા થઈ રહેલાં લોકડાઉન-4 બાદની સ્થિતિ અંગે ભારત સરકારે શનિવારે લોકડાઉનના બદલે અનલોક-1 દ્વારા લોક ખોલવાની દિશામાં એક પછી એક કદમ આગળ વધવાનો નિર્ણય કર્યો છે. તેને આવકારતા ગુજરાતમાં પણ અનલોક-1 સંદર્ભે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉન-4 બાદ રાજ્યમાં છૂટછાટો આપીને અમદાવાદ અને સુરત સિવાય અલગ-અલગ નગરો, શહેરો અને ગામોમાં જનજીવન સામાન્ય થાય તે માટેના પ્રયાસોમાં લોકોએ નિયમો પાળીને જે સહકાર આપ્યો છે તેનો રાજ્ય સરકાર આભાર વ્યક્ત કરે છે.

ભારત સરકારે જાહેર કરેલી અનલોક-1ની ગાઈડલાઈન્સ બાદ શનિવારે મોડી સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર ગ્રૃપની મળેલી બેઠકમાં ગુજરાતમાં પણ અનલોક-1 સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈને તેનો અમલ તારીખ 1લી જૂનને સોમવારથી કરવા માટેની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવઓની ઉપસ્થિતિમાં કરી હતી.

મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે: 1 જૂન 2020થી ગાઈડલાઇન્સનો ગુજરાતમાં કરાશે અમલ

- કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
- કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
- સમગ્ર રાજ્યમાં રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કર્ફ્યુનો અમલ કરાશે.
- રિજયોનલને બદલે સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો 60 ટકા સિટિંગ કેપિસિટી સાથે ચાલશે.
- સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ.
- સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ.
- મોટરસાઈકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યક્તિને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત.
- મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે.
- સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા 50 ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ.

- સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર 1લી જૂનથી ફૂલ ફ્લેજ્ડ શરૂ થશે.
- 1લી જૂનથી કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેન્કો પણ ફૂલ ફ્લેજ્ડ કામ કરતી થઈ જશે.
- હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ 8મી જૂન સુધી ચાલુ નહીં કરાય.
- આરોગ્ય વિભાગ રવિવાર સાંજ સુધીમાં રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો ફાઈનલ કરી તેની જાહેરાત કરશે.
- શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ, ટયૂશન ક્લાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈ માસમાં કરાશે.
- સ્થિતિ સામાન્ય બને જનજીવન પૂર્વવત થાય અને આર્થિક રૂકાવટ ન આવે તે રીતે કોરોના સાથે કામ કરવાની માનસિકતા કેળવવી પડશે
- કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ તે ભૂલીએ નહીં.
- એકે-એક ગુજરાતી કોરોના વોરિયર બનીને કામ કરે
- માસ્ક વિના બહાર ન નીકળીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, 65 વર્ષથી ઉપરની વયના વડિલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ, ઘર બહાર ન નીકળે તેની તકેદારી રાખીએ.