ગાંધીનગરઃ ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં બપોર પછી વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને નવસારીમાં તો વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. સુરતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અંદમાન-નિકોબારમાં અપરએર સર્ક્યુલેશન સર્જાતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, વરસાદ પડવાની સંભાવના નહીંવત છે.


ગઈ કાલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતિત થઈ ઊઠ્યા હતા. અત્યારે ડાંગરની કાપણી પૂરજોશમાં ચાલી રહી છે અને ખુલ્લા ખેતરમાં હજારો ટન ડાંગર પડયું છે, ત્યારે વાતાવરણમાં પલટો જોવા મળતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, મોડી સાંજ સુધી સુરત જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી.

શનિવારે વલસાડ જિલ્લાનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં સૌથી નીચું તાપમાન વલસાડ જિલ્લાનું નોંધાઈ રહ્યું છે. સતત ચાર દિવસથી નીચા તાપમાનને પગલે લોકોએ કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો હતો. આ ઉપરાંત સુરત જિલ્લામાં શનિવારે લઘુત્તમ તાપમાન 21.4 ડિગ્રી સેલ્સિયસ અને મહતમ તાપમાન 36.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સુરતનું મહતમ તાપમાન 35.4 ડિગ્રીથી 36.0 ડિગ્રી પર પહોંચી ગયું હતું.