PM Modis Road Show with the Sheikh Mohammed Bin Zayed Al Nahyan: 9 જાન્યુઆરી, 2024એ સાંજે 5 વાગ્યે અમદાવાદમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારીમાં મહત્વાકાંક્ષી નવા તબક્કાની શરૂઆત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અમદાવાદ એરપોર્ટથી પ્રતિષ્ઠિત સાબરમતી આશ્રમ સુધી સીમાચિહ્નરૂપ રૉડ શૉની શરૂઆત કરશે. મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં અમદાવાદ ખાતે થનારા રૉડ શો બાદ 10 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું પણ આયોજન કરાશે.


UAE ભારત, પશ્ચિમ એશિયા વચ્ચે નોંધપાત્ર જોડાણ બનાવે છે
ખાડી દેશોમાં UAEનું મહત્વનું સ્થાન છે. ક્રૂડ ઓઈલ અને ભારતમાં આવતા વિદેશી નાણા અને નિકાસના સંદર્ભમાં ભારતનો UAE સાથે ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ છે. આ સાથે UAE ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચે નોંધપાત્ર જોડાણ બનાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે જુલાઈમાં UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા. અને ભારત અને UAE વચ્ચે તેમની સંબંધિત ચલણમાં વેપાર સમાધાનની શરૂઆતની જાહેરાત કરી હતી. તેમણે UAEના પ્રમુખને એમ પણ કહ્યું કે દરેક ભારતીય તેને "સાચા મિત્ર" તરીકે જુએ છે. બંને દેશોની કરન્સીમાં વેપાર સમાધાન માટે જુલાઈમાં થયેલ કરાર ભારત અને UAE વચ્ચે મજબૂત આર્થિક સહયોગ અને પરસ્પર વિશ્વાસ દર્શાવે છે. આ સાથે UAE ભારત માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે એવું કહેવાય છે કે UAEમાં દરેક ત્રીજો વ્યક્તિ ભારતીય છે અને આ કારણથી UAE સાથે ભારતના સંબંધો રાખવા જરૂરી છે.


શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન કોણ છે?
મે 2022માં, શેખ ખલીફા બિન જાયેદના અવસાન પછી, શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન UAEના રાષ્ટ્રપ્રમુખ બન્યા. શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આરબ રાષ્ટ્રોનો સૌથી પ્રભાવશાળી શાસકોમાં એક તરીકે જોવામાં આવે છે. શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન લોકપ્રિય શાસક છે. તેમને પોતાનું શિક્ષણ સંયુક્ત આરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમમાં મેળવ્યું હતું. તેમની કારકિર્દીની શરૂઆતમાં, તેમણે યુએઈની સૈન્યમાં અસંખ્ય હોદ્દાઓ સંભાળ્યા હતા. તે પછી, તેમણે UAE એરફોર્સમાં પાઇલટ તરીકે આગળ વધ્યા હતા. રાજકારણમાં તેમની કારકિર્દીની શરૂઆત ત્યારે થઈ, જ્યારે વર્ષ 2003માં યુએઈના સ્થાપક, તેના પ્રથમ રાષ્ટ્રપતિ અને તેમના પિતા શેખ ઝાયેદ બિન સુલતાન અલ નાહયાન દ્વારા તેમણે દેશના નાયબ ક્રાઉન પ્રિન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.


ભાગીદારીના આ નવા તબક્કાને વધુ બળ આપશે
જેમ-જેમ આ બંને નેતા અમદાવાદમાં રોડ શોમાં આગળ વધશે તેમ તેમ તે બંને દેશો વચ્ચેના સભ્યતાના સંબંધોને પણ યાદ કરશે. અને સાથે સાથે ગાઢ આર્થિક, વ્યૂહાત્મક અને લોકો વચ્ચેના સંબંધો દ્વારા નિર્ધારિત ભાવિની રચના પણ કરશે. હાઇપ્રોફાઇલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં શેખ મોહમ્મદની સહભાગિતા ભાગીદારીના આ નવા તબક્કાને વધુ બળ આપશે.


PM મોદીએ અત્યાર સુધી 5 વખત મુલાકાત લીધી
ભારત-UAE વચ્ચેના મહત્વપૂર્ણ સંબંધોમાં દર વર્ષે સરેરાશ એક ઉચ્ચ સ્તરીય મુલાકાતે પાયો મજબૂત કર્યો છે. વડાપ્રધાન મોદીએ 2014માં સત્તા સંભાળ્યા પછી પાંચ વખત UAEની મુલાકાત લીધી હતી. આગામી 14 ફેબ્રુઆરી BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન સાથે જ્યાં PM મોદી સમારોહનું સંચાલન કરશે. ત્યારબાદ તેમની મુલાકાતોની સંખ્યા 6 સુધી જશે. આ તમામ મુલાકાતો સંબંધને વધારે મજબૂત બનાવશે. હિંદુ મંદિરનો શિલાન્યાસ 20 એપ્રિલ, 2019ના રોજ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો ઈતિહાસ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સાથે સંકળાયેલો છે, કારણ કે તે દરમિયાન UAE સરકારે મંદિર માટે જમીન ફાળવી હતી.


13 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં મોટી ઇવેન્ટ
13 ફેબ્રુઆરીએ મોદી અબુ ધાબીમાં મેગા ડાયસ્પોરા ઈવેન્ટ 'અહલાન મોદી' અથવા 'વેલકમ મોદી'ને સંબોધિત કરશે. અંદાજિત 50,000 લોકોની હાજરી સાથે આ કાર્યક્રમ ભારતીય ડાયસ્પોરાની સૌથી મોટી ઇવેન્ટ હોવાની અપેક્ષા છે. UAEમાં ભારતીયોની વસતી આશરે 3.3 મિલિયન છે.


ગુજરાતના CMની UAEની મુલાકાત દરમિયાન 19 MOU થયા
ડિસેમ્બર 2021માં, ગુજરાતના મુખ્યમંત્રીની UAEની મુલાકાત દરમિયાન, પાવર, શહેરી વિકાસ, લોજિસ્ટિક્સ, કિંમતી ધાતુ, છૂટક અને નાણાકીય સેવાઓ સહિતના ક્ષેત્રોમાં 19 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે કંપનીઓ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે તેમાં કોનરેસ, અલ હયાત, નેત્રા વિન્ડ, નારોલા ગ્રુપ, ભાવનગર ગ્રુપ, લુલુ ગ્રુપ, શરાફ ગ્રુપ અને ટ્રેંડવર્લ્ડનો સમાવેશ થાય છે.


2022-23માં ભારતમાં ચોથુ સૌથી મોટું રોકાણકાર
સંયુક્ત આરબ અમીરાત જેની સાથે ભારતે ગયા વર્ષે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ લાગુ કર્યું હતું એ 2022-23 દરમિયાન ભારતમાં ચોથા સૌથી મોટા રોકાણકાર તરીકે ઊભરી આવ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં યુએઈથી ભારતમાં વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) ગયા નાણાકીય વર્ષમાં 3.35 અબજ ડૉલર આવ્યું છે, જે અગાઉના વર્ષ 2021-22માં 1.03 અબજ ડૉલર આવ્યું હતું, જેની તુલનાએ ત્રણ ગણું વધારે છે એમ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડના ડેટા દર્શાવે છે. આ રોકાણ થકી ભારતમાં રોકાણ કરનાર એ ચોથો સૌથી મોટો રોકાણકાર દેશ બન્યો છે, જે અગાઉના વર્ષે સાતમા સ્થાને હતો.


ઈંધણના સંદર્ભમાં UAEનું મહત્વ
​​જો આપણે ઈંધણ પર નજર કરીએ તો, દેશના 60 ટકા ક્રૂડ ઓઇલ ગલ્ફ દેશોમાંથી આવે છે. તેમાંથી 9 ટકા તેલ યુએઈમાંથી આવે છે, જ્યારે 22 ટકા ઈરાકમાંથી અને 19 ટકા સાઉદી અરેબિયામાંથી આવે છે.


ભારતમાં ખાડી દેશો પૈકી, 26.9 ટકા નાણાં યુએઈમાંથી આવે છે
જો વિદેશથી આવતા નાણાની વાત કરીએ તો ભારતમાં વિદેશથી આવતા લગભગ અડધા નાણાં માત્ર 5 ગલ્ફ દેશોમાંથી આવે છે. ભારતમાં ખાડી દેશો પૈકી, 26.9 ટકા નાણાં યુએઈમાંથી આવે છે. આ પછી 11.6 ટકા નાણાં સાઉદી અરેબિયાથી, 6.5 ટકા નાણાં કતારથી, 5.5 ટકા નાણાં કુવૈતથી અને 3 ટકા નાણાં ઓમાનથી આવી રહ્યા છે.


ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર
વેપારના દૃષ્ટિકોણથી ગલ્ફ દેશો સાથે પણ ભારતના સારા સંબંધો છે. UAE પોતે ભારતમાંથી એટલી બધી વસ્તુઓની નિકાસ કરે છે કે તે ભારતનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. ભારતે UAEમાં 28853.6 યુએસ ડોલરની નિકાસ કરી છે, જે ભારતની કેટલીક નિકાસમાં 9.2 ટકા હિસ્સો ધરાવે છે. ભારતની નિકાસમાં 9.2 હિસ્સો UAEનો છે. આ સિવાય ભારતે ઓમાનમાં 2261.8 યુએસ ડોલર, ઇરાકમાં 1878.2 યુએસ ડોલર, કુવૈતમાં 1286.6 યુએસ ડોલર કર્યા છે.


UAE માં ભારતના ઘણા લોકો વસે છે
UAEમાં ભારતના ઘણા લોકો રહે છે. UAEમાં રહેતો દરેક ત્રીજો નાગરિક ભારતીય છે. UAEમાં ભારતીયોની વસતી આશરે 3.3 મિલિયન છે અને તેઓ ત્યાંની વસ્તીના 34.60 ટકા છે. આ કારણ પણ ભારત અને UAE વચ્ચેના સંબંધને વધારે મજબૂત બનાવે છે.