હાલ ગુજરાતમાં ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોકે હવે હવામાન વિભાગે ગુજરાતના લોકોને એક સારા સમાચાર આપ્યા છે અને કહ્યું છે કે, બુધવાર એટલે આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. આજથી ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી જાય છે. જેના કારણે આગામી 29મી ઓગસ્ટ સુધી વરસાદમાંથી રાહત મળશે.


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 26 ઓગસ્ટથી બનાસકાંઠા, સુરત અને કચ્છ સિવાયના જિલ્લામાં વરસાદનું જોર ઘટવાની વાત કરી છે. ત્યારે 29 ઓગસ્ટ બાદ ફરી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરના કારણે વરસાદ વરસશે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 107 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 213.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 141.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ઝોનમાં 92.29 ટકા. ઉત્તર ઝોનમાં 92.22 ટકા અને મધ્ય ગુજરાતમાં 80.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 89 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. તો 136 ડેમ છે હાઈએલર્ટ પર છે. જ્યારે 16 ડેમ છે એલર્ટ પર છે. તો સૌરાષ્ટ્રના 140 ડેમમાં 91.52 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 76.17 ટકા પાણીનો જથ્થો છે.

ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 49 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 81.45 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 73.93 ટકા પાણીનો જથ્થો છે અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 69.66 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.