ગાંધીનગરઃ રાજ્ય સરકારની કામગીરીને લઇને સાપ્તાહિક કેબિનેટની બેઠક આ સપ્તાહે નહિ મળે. સામાન્ય રીતે દર બુધવારે સાપ્તાહિક કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં રાજ્ય સરકારની કામગીરીની સમિક્ષા કરવામાં આવતી હોય છે. દિવાળીના તહેવારોને લઇને આ સપ્તાહની કેબિનેટ મોકૂફ રાખવામાં આવી છે. સરકારના મોટાભાગના મંત્રીઓ હવે સીધા જ આગામી સોમવારે કામકાજ સંભાળશે. જેના કારણે સચિવાલયમાં રજા જેવો માહોલ રહેશે. જો કે આજથી તહેવારોની રજા પૂર્ણ થતાં અધિકારીઓની કામગીરી બુધવારથી શરુ થઇ જશે. આમ છતાં સમગ્ર વહીવટી કામગીરી સોમવારથી જ રાબેતા મુજબ થશે અને નાગરીકો પણ મંત્રીઓને સોમવારેથી જ મળી શકશે. આ સમયગાળા દરમિયાન મંત્રીઓ પોતાના મતવિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમો દ્વારા લોકસંપર્કમાં વ્યસ્ત રહેશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ ભાજપના ધારાસભ્યોને દિવાળીના તહેવારોમાં સ્નેહમિલન કાર્યક્રમો યોજવા સૂચના આપી હતી અને તેજ પ્રમાણે આ વખતે મંત્રીઓ સ્નેહમિલન સંમેલનોમાં વ્યસ્ત રહેશે.