ગાંધીનગરઃ ગુજરાત સરકારે કોરોનાના કારણે ઉદભવેલી પરિસ્થિતીમાં કરકસરનાં પગલાંના ભાગરૂપે સરકારી કર્મચારીઓને 31 માર્ચ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં આપવા નિર્ણય કર્યો છે.


રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે કરેલા ઠરાવ પ્રમાણે 1 જુલાઈ 2020થી એક વર્ષ માટે વયનિવૃતિ બાદ કરાર આધારિ નિમણૂક પામેલા અને પામતા અધિકારી-કર્મચારીઓના પગારમાં 30 ટકા પગારકાપ થશે. આ ઉપરાંત ગુજરાત સરકાર, પંચાયત સેવાના કર્મચારી, અધિકારીઓને 1 જાન્યુઆરી 2020થી ચૂકવવાપાત્ર થતું મોંઘવારી ભથ્થું 31 માર્ચ 2021 સુધી ન ચૂકવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીની સહીથી શનિવારે પ્રસિધ્ધ ઠરાવમાં આ જાહેરાત કરાઈ છે.

કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ધારાસભ્યો, મંત્રીઓ, વિપક્ષના નેતા અને વિધાનસભાના સ્પીકરના પગારમાં પણ એક વર્ષ માટે એટલે કે માર્ચ 2021 સુધી 30 ટકા પગારકાપનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારે એપ્રિલમાં વટહૂકમ બહાર પાડી તેનું અમલીકરણ કર્યું છે. આગામી વિધાનસભા સત્રમાં આ અંગે વિધેયક પણ લાવવામાં આવશે.