ગાંધીનગર: હવામાન વિભાગે આગાહી પ્રમાણે, નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ગુજરાતના ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. એટલા માટે આ વખતે ખેલૈયા મન મુકીને ગરબા રમી શકશે નહીં. જેને લઈને આયોજકો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.

IMD ગુજરાતના રિજનલ ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું હતું કે, ચોમાસું પાછું ખેંચાઈ તેવા હાલ કોઈ જ સંકેત નથી અને જેના કારણે ગુજરાતમાં નવરાત્રીના શરૂઆતના દિવસોમાં જ હળવોથી મધ્યમ વરસાદ તેવી પુરેપુરી સંભાવના છે.

IMDએ પોતાની આગાહીમાં ગુજરાતના મોટા ભાગના તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવું જોવા મળી રહ્યું છે. ગુરૂવારે નવસારી અને વલસાડના જિલ્લાઓમાં જ્યારે શુક્રવારે બનાસકાંઠા, ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

IMDની વેબસાઈટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દક્ષિણ રાજસ્થાન અને પાડોશી વિસ્તારમાં સાઈક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે. ઉત્તર-પૂર્વ અને પૂર્વ-મધ્યમ અરબ સાગર પર જોવા મળી રહેલું ચક્રવાતી તોફાન હિકા પશ્ચિમ તરફ આગળ વધ્યું છે.