World Yoga Day: આગામી 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ છે જેમાં રાજ્ય કક્ષાની ઉજવણી સુરત શહેરમાં થવાની છે. આ ઉજવણીમાં ૧.૨૫ લાખ લોકો એક સાથે યોગ કરશે અને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવશે. આ સમગ્ર કાર્યક્રમ અંગે ગુજરાતના અગ્ર સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં આપી હતી.


આગામી 21 જુને વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશ સહિત દુનિયામાં થવાની છે ત્યારે ગુજરાતમાં રાજ્ય કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી સુરતમાં થનાર છે જેને લઇ સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આગામી 21 તારીખે વહેલી સવારે ડુમ્મસ રોડ વાય જંકશન પાસે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. 


12 kmના રોડમાં 1.25 લાખથી વધુ લોકો એક સાથે અહીં યોગ કરશે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડની સ્થાપના કરશે. આ સમગ્ર યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં યોજાવાનો છે. ત્યારે આ કાર્યક્રમ માટે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં યોગ દિવસની ઉજવણીમાં કઈ રીતની વ્યવસ્થાઓ કરાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. 


જેમાં વહેલી સવારે યોજનાર આ કાર્યક્રમમાં ઇમર્જન્સી માટે મુખ્ય ચાર રસ્તા બ્લોક નહીં કરાય જેથી કોઈ ઇમર્જન્સીના ટાઈમે અગવડતા ન પડે આ સાથે જ યોગમાં ભાગ લેવા ઇચ્છતા લોકો માટે રજીસ્ટ્રેશન સુવિધા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં 1000 લોકોના 125 બ્લોક બનાવી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. જો કે યોગ દિવસમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 26,000 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે સુરતમાં 1.25 લાખ લોકો એક સાથે યોગ કરી ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન નોંધાવશે.


21 જૂને ઉજવાય છે વિશ્વ યોગ દિવસ


આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી થઈ હતી. 27 સપ્ટેમ્બર 2014ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં, તેમણે યોગનો ઉલ્લેખ કરતા સાથે મળીને યોગ કરવાની વાત કરી હતી. જે પછી 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેરાત કરી કે તે 21 જૂને યોજાશે. ત્યારબાદ 2015થી સમગ્ર વિશ્વમાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે યોગ કોઈપણ દિવસે કરી શકાય છે, પરંતુ દરેકને એક સાથે જોડવા માટે 21 જૂન નક્કી કરવામાં આવ્યું હતું. આ ખાસ દિવસ માટે આ તારીખ પસંદ કરવાનું એક ખાસ કારણ પણ છે. વાસ્તવમાં 21મી જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસે સૂર્ય વહેલો ઉગે છે અને મોડો આથમે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યની તેજ સૌથી વધુ અસરકારક હોય છે, અને પ્રકૃતિની સકારાત્મક ઉર્જા સક્રિય રહે છે.


ભારત સહિત વિશ્વભરમાં 21 જૂને યોગ દિવસને તહેવાર ઊજવવામાં આવે છે. 21 જૂન ની એક વિશેષતા એ છે કે એ વર્ષના દિવસોમાં સૌથી લાંબો દિવસ હોય છે અને યોગના નિરંતર અભ્યાસથી વ્યક્તિને લાંબું જીવન મળે છે. એટલે આ દિવસે યોગ દિવસના રૂપમાં ઊજવવાનો નિર્ણય કર્યો હતો. નિયમિત યોગ કરવાથી મન અને તનનો વિકાસ થાય છે અને ઘણા શારીરિક ફાયદા થાય છે. કોઈ તાલીમ પામેલા યોગ શિક્ષકની પાસે યોગ શીખવા અને તેની નિયમિત પ્રેક્ટીસ કરવી ખુબ જરૂરી છે. કોઈ રોગ થયેલો હોઈ તો ડોક્ટર અને યોગ શિક્ષકની સલાહ ખુબ જરૂરી છે.