Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ભારત સરકારના હવામાન વિભાગની તાજેરની આગાહી કચ્છના કેટલાક વિસ્તારોમાં અસના નામના ચક્રવાતનો ખતરો છે. આ સંભવિત ખતરાને લઈને હવે કચ્છ કલકટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાંકહેવામાં આવ્યું છે કે,  આગાહી મુજબ તા. ૩૦/૦૮/૨૦૨૪ ના સવારે ૦૪:૦૦ કલાકથી સાંજે ૦૪:૦૦ કલાક સુધી આપણા કચ્છ જિલ્લાના લખપત, અબડાસા તથા માંડવી તાલુકામાં ચક્રવાતની સંભાવના રહેલી છે.


આ વિસ્તારમા આવેલ તમામ ગામોમા કાચા મકાન રહેતા હોય તેવા તમામ લોકોને તા. ૩૦/૦૮/૨૪ ના સવારે ૦૪:૦૦ કલાકથી સાંજે ૦૪:૦૦ કલાક સુધી આસપાસમા આવેલ સલામત જગ્યા જેવી કે, પ્રાથમિક શાળા, ધાર્મિક સ્થળ, સમાજવાડી કે અન્ય નજીકમા આવેલ કોઇ પાકા બાંધકામમા પહોચી જવા વિનંતી કરવામા આવે છે.


તો બીજી તરફ વાવાઝોડાના ખતરા વચ્ચે કચ્છમાં મેઘ મહેર યથાવત છે. કચ્છના માંડવી, મુંદરા અને અબડાસામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માંડવીમાં છેલ્લાં ૨૪ કલાકમાં સાડા ૧૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મુંદરામાં છેલ્લાં ૨૪ કલાકમાં ૯ ઈંચ, અબડાસામાં સાડા ૬ ઈંચ વરસાદ પડ્યો છે.


વાવાઝોડાં સાથે વરસાદની સંભાવનાના પગલે લખપત, અબડાસા, માંડવી તાલુકાના કાંઠાળ ગામોમાં કાચાં મકાનો કે ઝૂંપડામાં વસતાં લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રએ અપીલ કરી છે.


ગુરુવારના રોજ નોંધાયેલો વરસાદ (૨૯-૦૮ની સવારના ૬થી ૩૦-૦૮ની સવારે ૬ સુધીનો વરસાદ, મિમી.માં)



  • માંડવી ૩૮૮ 

  • મુંદરા ૨૧૭ 

  • અબડાસા ૧૬૨ 

  • અંજાર ૮૦

  • ગાંધીધામ ૬૫ 

  • ભુજ ૬૨

  • લખપત ૫૩ 

  • નખત્રાણા ૪૩

  • ભચાઉ ૪૨ 

  • રાપર ૧૩


જરાત પર ચક્રવાત અસનાનો ખતરો


પૂર અને વરસાદ સામે ઝઝૂમી રહેલા ગુજરાત પર હવે ચક્રવાત અસનાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં એક દુર્લભ હવામાન ઘટનામાં શુક્રવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રમાં ચક્રવાત રચાશે જે ઓમાનના દરિયાકાંઠે આગળ વધવાની ધારણા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તેમજ માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આગામી બે દિવસ સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ દરિયાઈ વિસ્તારોમાં 60-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.


80 વર્ષમાં ચોથી વખત આવું થવા જઈ રહ્યું છે. આ અરબી સમુદ્રમાં થશે પરંતુ તેની અસર સમગ્ર ગુજરાત પર પડશે. જેના કારણે હવામાનશાસ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલમાં ગુજરાતમાં વરસાદ અને પૂરની ભયંકર સ્થિતિ છે. ડીપ ડિપ્રેશનના કારણે આવું બન્યું છે. હવે આ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 80 વર્ષમાં ચોથી વખત આવું થઈ રહ્યું છે. તે દુર્લભ છે કારણ કે જમીનની ઉપર હવામાન પ્રણાલી બની રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. હવે આ સિસ્ટમના કારણે અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ રહ્યું છે. એટલે કે આ સિસ્ટમ સમુદ્રની ગરમી લઈને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.


ભારતીય હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક સોમા સેન રોયે જણાવ્યું કે આ પહેલા 1944, 1964 અને 1976માં આવું દુર્લભ હવામાન જોવા મળ્યું હતું. જ્યારે જમીન ઉપર એક્ટિવ ડીપ ડિપ્રેશન એટલે કે વેધર સિસ્ટમે અરબી સમુદ્રમાંથી ગરમી શોષીને વધુ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. તે દરિયામાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું.


આ પણ વાંચો...


Gujarat Rain: પૂરગ્રસ્ત દ્વારકા વિસ્તારનું CMએ કર્યું હવાઈ નિરિક્ષણ,લોકોના ખબર અંતર પૂછી તંત્રને ઝડપી કાર્યવાહી કરવા આપ્યો આદેશ