ગાંધીનગરઃ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને એક મોટી વાત સામે આવી છે. ગુજરાતના હાલના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધી છે. તેમને કહ્યું કે, આગામી 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં લડાશે. પાટીલનુ આ નિવેદન હાલ ચર્ચાનો વિષય બન્યુ છે. 


ગાંધીનગરમાં યોજાયેલા 75મો સ્વાતંત્ર્ય પર્વના મહોત્સવ દરમિયાન સીઆર પાટીલે આ નિવેદન આપ્યુ હતુ. આનંદ અને ઉત્સાહ સાથે ધ્વજવંદન બાદ સી આર પાટીલે સંબોધન દરમિયાન કહ્યું કે, આગામી ગુજરાત વિધાનસાભ ચૂંટણી મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં જ લડાશે. 


સી આર પાટીલે 75માં સ્વાતંત્ર્ય પર્વ મહોત્વસ દરમિયાન પોતાના નિવેદનમાં દેશના વીર સપૂતો વિશે પણ વાત કરી. તેમને સંબોધનમાં કહ્યું કે, આ સ્વતંત્રતા મેળવવા માટે અનેક લોકોએ પોતાની છાતીમાં ગોળીઓ ખાધી છે, અનેક યુવાઓ જેલવાસ ભોગવ્યો છે અને શાહિદ થયા છે, આ વિરલાઓ ના કારણે આપણને સ્વતંત્રતા મળી છે કોઈ સહજતાથી સ્વતંત્રતા મળી છે. આ સ્વંત્રતા સેનાનીઓ ની દેશના વિકાસની અપેક્ષાઓ હતી. તેમને આગળ કહ્યું- નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ આ સ્વંત્રતા સેનાનીઓની ઈચ્છા અનુસાર અનેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યા છે, કોરોના મહામારીમાં આત્મનિર્ભરતા સાથે વૈજ્ઞાનિકોની મદદથી આપણે આગળ વધ્યા છીએ, કોરોના મહામારીમાં ડોકટરો સહિત કોરોના વોરિયર દ્વારા જવાબદારી પૂર્વક ફરજ બજાવી છે, 75 માં સ્વતંત્રતા દીને ગુજરાત અને દેશના તમામ લોકોને શુભેચ્છા.


ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં લડાઇ હતી. જોકે, કોરોનાના કપરા કાળ બાદ લોકોને લાગતુ હતુ કે ભારતીય જનતા પાર્ટી કોઇ નવા ચહેરા સાથે આગામી ચૂંટણીમાં ઉતરી શકે છે પરંતુ હવે સી આર પાટીલના આ નિવેદને બધા ભ્રમને દુર કરી દીધો છે.