સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આજે રાજકોટમાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય  કોટડાસાંગાણીમાં સાડા સાત ઇંચ,  લોધિકામાં સાત ઇંચ, ખંભાળિયામાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.


તે સિવાય આજે કલ્યાણપુરમાં સવા છ ઈંચ, કાલાવડમાં છ ઈંચ,  ભાણવડમાં છ ઈંચ, લાલપુરમાં સાડા પાંચ ઈંચ, રાણાવાવ, ગોંડલમાં પાંચ ઈંચ, દ્વારકા, પોરબંદરમાં પાંચ ઈંચ, જામનગર, જામજોધપુરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.


ઉપરાંત ધોરાજી, જામકંડોરણામાં ચાર-ચાર ઈંચ, ચોટીલા, વંથલી, કેશોદમાં 4-4 ઈંચ,વાંકાનેર, વિસાવદર, મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, મહુધા, ઉપલેટા, માણાવદરમાં ત્રણ-ત્રણ ઈંચ, કુતિયાણા, જેતપુર, તાલાલામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો હતો.


આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી


સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, દ્વારકામાં 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે જેમાં જામનગર, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, રાજકોટ, સુરેંદ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, સુરત, બનાસકાંઠાનો સમાવેશ થાય છે.


જૂનાગઢના માંગરોળમાં બોટ પલટી જતા એક ખલાસીનું મોત થયું હતું. બોટમાં સવાર આઠ ખલાસીઓ પૈકી ત્રણ લાપતા થયા છે. જ્યારે ચાર ખલાસીઓ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જય ચામુંડા નામની બોટ પલટી જતા કરૂણાંતિકા સર્જાઇ હતી. માંગરોળ જેટી નજીક પહોંચતી વખતે દરિયાના મોજાની થપાટથી બોટ ઉંધી વળી ગઇ હતી.


વડોદરા શહેરમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અત્યાર સુંધીમાં 12 ઈંચ વરસાદ ખાબકતા વિશ્વામિત્રી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે.જેના કારણે નદીના પટની આજુબાજુના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ખાનગી હોસ્પિટલો તેમજ રેસિડેન્શિયલ એરિયામાં પાણી ફરી વળતાં કેટલીક હોસ્પિટલોમાંથી દર્દીઓને અન્ય સ્થળે શિફ્ટ કરવાની ફરજ પડી છે. તેમજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું. આ સિવાય શહેરના 50 જેટલા ફીડરોના અઢી લાખ જોડાણો પ્રભાવિત થતાં લાખો લોકો અંધારપટમાં જીવી રહ્યા છે.                


આ પણ વાંચોઃ


રાજકોટમાં ભારે વરસાદથી જળબંબાકાર, લોકમેળો કરાયો બંધ, આ બ્રિજ જળમગ્ન થતાં બંધ