કચ્છ: ગુજરાતમાં ફરી ધરતી ધ્રુજી છે જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજે પૂર્વ કચ્છના દુધઈ પાસે ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર આવી ગયા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 8 કિલોમીટર દૂર હોવાનું નોંધાયું છે. ધરતીકંપનો આંચકો બપોરે 4:57 મિનિટે નોંધાયો હતો. આ ધરતીકંપમી તીવ્રતા 3.4ની હોવાની વાત સામે આવી છે. જો કે ભૂંકપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. જો કે કચ્છના વિસ્તારમાં અવાર નવાર ધરતીકંપના આંચકા આવતા રહે છે.

જાપાનમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

બુધવારે જાપાનમાં 7.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ શક્તિશાળી ભૂકંપના કારણે દરિયામાં સુનામી આવવાની ચેતવણી આપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, રાત્રે લગભગ 8.06 કલાકે જાપાનના ટોક્યોથી 297 કિમી ઉત્તરપૂર્વમાં ફુકુશિમા વિસ્તારમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આ ભૂકંપનું કેન્દ્ર ફુકુશિમાના દરિયાકાંઠે 60 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ આવ્યાના થોડા સમય પછી, મિયાગી અને ફુકુશિમા વિસ્તાર સહિત ઉત્તરપૂર્વીય દરિયાકાંઠાના ભાગોમાં એક મીટરના સુનામી તરંગો આવવાની શક્યતા વ્યક્ત કરી હતી. વીજળી આપતી કંપની TEPCOના રિપોર્ટ પ્રમાણે ભૂકંપ આવ્યા બાદ ટોક્યોમાં 700,000 સહિત કુલ 20 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જો કે, હાલ કોઈ જાનહાનિ કે નુકસાનના કોઈ અહેવાલ નથી.

જાપાન ભૂકંપનું કેન્દ્ર

આ જ વિસ્તારમાં વર્ષ 2011માં મોટો ભૂકંપ આવ્યો હતો અને પછી સુનામી આવી હતી. આ સુનામીમાં ફુકુશિમા પરમાણુ દુર્ઘટના બની હતી અને મોટું નુકસાન થયું હતું. આ સુનામીને કારણે લગભગ 18,500 લોકો માર્યા ગયા હતા અને ગુમ થયા હતા. જાપાન પેસિફિક "રીંગ ઓફ ફાયર" પર આવે છે, તેથી આ વિસ્તારમાં નિયમિતપણે ભૂકંપ આવતા રહે છે. મહત્વનું એ પણ છે કે, જાપાનમાં ભૂકંપ બાદ સુનામી પણ આવે છે કારણ કે જાપાનની ચારે બાજુ દરિયો છે. જેથી ધરતીકંપના તરંગોથી દરિયામાં સુનામી આવવાની પુરી શક્યતાઓ હોય છે. સુનામીના કારણે દરિયાકિનારે રહેતા લોકોને ભારે નુકસાન થાય છે.