ગુજરાતમાં એક જ દિવસમાં કોરોના (Corona virus)થી 3 સરકારી અધિકારીઓના મૃત્યુ થયા છે. જેમાં ડારેક્ટર ઓફ ઓફ એગ્રીકલ્ચર વિભાગના શ્વેતા મહેતા, સચિવાલયના સેક્શન ઓફિસર કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર હરેશ એલ ધડૂકનો સમાવેશ થાય છે.


આણંદ યુનિવર્સિટીમાં ઔષધિય અને સુંગધિત વનસ્પતિ સંશોધન કેંદ્રના વિભાગીય વડા ડોક્ટર હરેશ એલ ધડૂક કોરોના સંક્રમણ થતાં છેલ્લા 15 દિવસથી કરમસદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યારે કોરનાથી મૃત્યુ પામનાર ક્લાસ-2 ઓફિસર શ્વેતા મહેતાને 7 માસનો ગર્ભ પણ હતો. રાજ્ય સરકારના સામન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવતા સેક્શન અધિકારી કિરીટ સાયમન સક્સેનાનું કોરોનાથી અવસાન થયું છે.


મંગળવારે ઉર્જા મંત્રી સૌરભ પટેલ (Saurabh Patel) અને ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ (Dushyant Patel) કોરોના (Corona virus) સંક્રમિત થયા હતા. તો મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પણ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તબિયત લથડતા તેમનું તેમના નિવાસસ્થાને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.


વિધાનસભા બજેટ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં 10થી વધારે ધારાસભ્યો (MLA) કોરોનાની ઝપેટમાં આવ્યા છે. વિધાનસભામાં કોરોનાની એંટ્રી થતા મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંત્રીઓની ચેમ્બરમાં પણ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરાયો છે. આમ છતાં ધારાસભ્યો કોરોના સંક્રમિત થવામાં બાકાત નથી રહ્યા. ઉર્જા મંત્રી સૌરભ પટેલ કોરોના સંક્રમિત થતા ઉર્જા વિભાગના જવાબો હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આપશે.


ગાંધીનગર મનપાની ચૂંટણી વચ્ચે કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે. છેલ્લા 48 કલાકમાં ગાંધીનગરમાં કોરોનાના નવા 100 કેસ નોંધાયા છે. સચિવાલયમાં મંગળવારે કરવામાં આવેલા રેપિડ ટેસ્ટમાં 30થી વધુ લોકો સંક્રમિત થયા છે. તો સરકીટ હાઉસમાં 14 લોકો કોરોના સંક્રમિત થયા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે ગાંધીનગરમાં યોજાનાર ચૂંટણીથી હજુ પણ સંક્રમણ વધવાની શક્યતા છે.


કોરોના વાયરસ (Coronavirus)ના કેસ છેલ્લા ત્રણ દિવસથી ઓછા  નોંધાઈ રહ્યા છે. નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં અત્યાર સુધી 2,88,565  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.