ગાંધીનગર: એક અઠવાડિયાના વિરામ બાદ સતત બીજા દિવસે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી માંડીને ચાર ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ગોંડલમાં ત્રણ ઈંચ ખાબક્યો હતો. જ્યારે જામનગરના ધ્રોલમાં એક ઈંચ અને જોડિયામાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

ગીરગઢડાના ગ્રામ્ય પંથકમાં તેમજ ઊનામાં ચાર ઈંચ, સૂત્રાપાડામાં બે ઈંચ જ્યારે અમરેલીના રાજુલા અને ખાંભામાં પણ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જાફરાબાદ અને બાબરામાં એક એક ઈંચ અને પોરબંદરના કુતિયાણામાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો.

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં 4 ઈંચ, ક્વાંટમાં 3 ઈંચ, છોટાઉદેપુરમાં દોઢ ઈંચ અને પાવી જેતપુરમાં 1 ઈંચ પડ્યો હતો. દાહેદમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં 2 ઈંચ જ્યારે ધાનેરામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. પાટણ જિલ્લામાં ઝાપટાં પડ્યાં હતાં.

પાટણ જિલ્લામાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં શનિવારે પાટણ સરસ્વતી સિદ્ધપુર ચાણસ્મા સમી પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યાં હતા. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. જોકે કોઈટા ગામે તબેલા પર વૃક્ષ ધરાશાયી થતાં આઠ ભેંસો દટાઈ હતી જેમાં બેના મોત થયા હતા.