નડિયાદ: રવિવારે ગલતેશ્વર તાલુકાના અંબાવ નજીક એક લક્ઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગોધરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી અને ટ્રસ્ટી સહિત કુલ 4 વ્યક્તિનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ સેવાલિયા અને ઠાસરા પોલીસે સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ડાકોર-સેવાલિયા રોડ પર ગમખ્વાર અકસ્માત થતાં ટ્રાફિકજામ સર્જાયો હતો.

મૃતકો સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં પૂનમ ભરી અને શ્રીહરિના દર્શન કરી ગોધરા પરત જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ દાહોદ-અમદાવાદ લક્ઝરી બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. હાલમાં સેવાલિયા પોલીસે ચાલકની તપાસ હાથ ધરવામાં આવી છે.

ગોધરામાં આવેલા શહેરા ભાગોળ ટાવર મંદિરના કોઠારી અને ટ્રસ્ટી શરદપૂનમ નિમિત્તે વડતાલ મંદિરે દર્શન કરવા રવિવારે સવારે 6 વાગ્યે કાર લઈને નીકળ્યાં હતાં. વડતાલ દર્શન કરીને તેઓ બપોરે ગોધરા જવા નીકળ્યા હતા. તેઓ ડાકોર-સેવાલિયા રોડ ઉપર અંબાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી લક્ઝરી બસ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી જેમાં મંદિરના કોઠારી સહિત 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે 1 વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર હેઠળ છે. ઘટનાને પગલે આસપાસથી સ્થાનિકો અને વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા.

સેવાલિયા અને ઠાસરા પોલીસ પણ ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત હરિપ્રસાદ શંકરલાલ કા.પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અકસ્માતમાં આશ્ચર્યજનક બાબત એ હતી કે, અકસ્માત સર્જાયો તે સમયે કારની સ્પીડ 100થી વધુની હતી. લક્ઝરી સાથે ટક્કર થતાંની સાથે જ એરબેગ ખૂલી ગઈ હતી પરંતુ કારમાં બેઠેલા 4 લોકો બચી શક્યા નહોતા.