ધ્રોલ: જામનગર-રાજકોટ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કાર કેનાલમાં ખાબકતાં 4 યુવાનોનાં મોત નિપજ્યાં હતાં. આ ચારેય મૃતક જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના રહેવાસી છે. જામજોધપુરના ઝીણાવારી ગામના સગર પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત થતાંજ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.


ધ્રોલના ધ્રાંગા ગામના પાટીયા પાસે ઉંડ-1 ડેમની કેનાલ પસાર થઈ રહી છે. આજે વહેલી સવારે ઈકો કારના ડ્રાઈવરને અચાનક ઝોકું આવ્યું હતું જેના કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારીને કેનાલમાં ખાબકી હતી. જેમાં ચારનાં મોત અને એકને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

આ ઘટનાને લઇને ગામના લોકો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા ટીમ દોડી આવી છે. કારમાં સવાર તમામ લોકો જામજોધપુરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે.

અકસ્માત થતાં જ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. ત્યાર બાદ પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.