અરવલ્લી:  અરવલ્લીના ભિલોડાની બુઢેલી નદીમાં ન્હાવા પડેલા 4 યુવકોના ડૂબી જવાથી મોત થયા છે.  આ દુર્ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. બુઢેલી નદીમાં ન્હાવા જતી વખતે કરુણ  ઘટના બની હોવાનું સામે આવ્યું છે.  શિલાદ્રી ગામે એક સાથે ચાર યુવકો નહાવા પડ્યા હતા. આ દરમિયાન ઉંડા પાણીમાં ચારેય મિત્રો ગરકાવ થઈ ગયા હતા. જેને લઈને ચારેય એક સાથે મોતને ભેટ્યા હતા.  આ અંગે સ્થાનિક લોકો દ્વારા સબંધિત તંત્રને જાણ  કરવામાં આવી હતી. આ ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ સ્ટાફ  ઘટનાસ્થળે પહોંચ્યો હતો.  ભારે શોધખોળ બાદ ચારેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામ આવ્યાં છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ચારેય યુવકો શિલાદ્રી ગામના રહેવાસી હોવાનું સામે આવતા આખું ગામ હિબકે ચડ્યું છે. અસારી પ્રિતેશ પોપટભાઈ, અસારી રામેશ્વર અશોકભાઈ અને અસારી દિલખુશ વિપુલભાઈ તથા બાંગા કલ્પેશ અર્જુનભાઈના મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. 


 


કેજરીવાલનો દાવો- 'સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે'


અરવિંદ કેજરીવાલ અને ભગવત માને કચ્છથી બે દિવસના પ્રવાસની શરૂઆત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગાંધીધામ જાહેરસભામાં હાજરી આપી હતી. સભામાં જનમેદની ઉમટી પડી હતી. અરવિંદ કેજરીવાલે ગાંધીધામમાં સભાને સંબોધિત કરતાં ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીને દર મહિને 5 હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. ભાજપના લોકો મને ખૂબ ગાળો આપે છે. મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. રોજગારીને લઈ કેજરીવાલે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું હતું. 


કેજરીવાલે પોતાના ભાષણની શરૂઆત કચ્છી બોલીથી કરી હતી અને પછી ગુજરાતીમાં કહ્યું કે, મજામાં. તેમણે કહ્યું કે, કોંગ્રેસને મત આપીને પોતાનો વોટ ખરાબ નથી કરવા માંગતા. આ વખતે ઇશ્વરે તમને મોકો આપ્યો છે. એવા મત આપો કે, દિલ્લી અને પંજાબનો પણ રેકોર્ડ તૂટી જાય. એટલી મોટી બહુમતી આપો કે અમે જે વચનો આપ્યા છે, તે તમામ પૂરા કરી શકીએ. તેમણે કચ્છમાં દરેક જિલ્લામાં મોટી હોસ્પિટલ ખોલવાની જાહેરાત કરી હતી તેમજ મફતમાં સારવારની જાહેરાત કરી હતી. 


તેમણે એક સર્વેની વાત કરીને દાવો કર્યો કે, એક સરકારી રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં  આપની સરકાર બની રહી છે. મોટી બહુમતીથી સરકાર બની રહી છે. આ રિપોર્ટ આવ્યો ત્યારથી તેઓ પાગલ થઈ ગયા છે. મને માહિતી મળી છે કે, બંને પાર્ટીની સિક્રેટ મીટિંગ ચાલું થઈ ગઈ છે. તેમજ તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ભાજપ કે કોંગ્રેસ ગમે તે આવે પણ આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ.